તુષાર બસિયા (નવજીવન ન્યૂઝ, રાજકોટ) : રાજ્યમાં દારૂબંધી કેટલી અસરકારક તે મામલે સમયાતરે સવાલ ઉઠતા રહ્યાં છે. પરંતુ બોટાદના લઠ્ઠાકાંડમાં 28 લોકના જીવ ગુમાવ્યા અને હજૂ આંકડો વધે તો ના નહીં તેવી સ્થિતી છે ત્યારે, રાજ્યમાં દારૂબંધી કરાવવામાં ગુજરાત પોલીસ અને ગુજરાત સરકારની નિષ્ફળતા જાણે પુરાવો આપી રહી હોય તેમ જણાય છે. આ મામલે પોલીસે દારૂમાં ભેળસેળનો ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી પંરતુ સવાલ છે કે લઠાકાંડમાં દારૂની ભેળસેળમાં ગુજરાત પોલીસના ભ્રષ્ટ અધિકારીઓની ભેળસેળની કાર્યવાહી ક્યારે ?
ગઈકાલે બોટાદ જિલ્લાના બરવાળામાં મોટી સંખ્યામાં કેટલાક પીયાસીઓની અચાનક તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દર્દીઓના પરિવારજનો આગલી સાંજે દારૂ પીધા બાદ તબિયત લથડીનું જણાવતા હતા. ત્યાં દર્દીઓની સંખ્યા અને મૃત્યુનો આંક ખુબ ઊંચો જશે તેવી કાલ સાંજથી જ ભીતિ વ્યકત કરવામાં આવી હતી. પરંતુ આ તમામ બાબતો વચ્ચે એક મોટી વાત સામે આવી રહી એ હતી પોલીસની ભૂમિકા.
- લઠ્ઠાકાંડ થાય તે પહેલા પોલીસે રજૂઆતો પર કાર્યવાહી કરવાની હતી
ગતરોજ લઠ્ઠાકાંડની ઘટના બાદ સામે આવ્યું કે ગ્રામજનો અને ગામના સરપંચે અનેકવાર દારૂના અડ્ડા બંધ થાય તેવી માંગણી કરી રહ્યા હતા. પોલીસને ઘણી વખત લેખીત અને મૌખિક રજૂઆતો થઈ ચૂકી હતી. ત્યાં સુધી કે દર્દીઓના પરિવારની મહિલાઓ પણ પોલીસ પર ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવી કહેતી હતી કે આ ઘટના પોલીસે અમારા ગામની રજૂઆત બાદ કાર્યવાહી કરી હોત તો અટકાવી શકાયી હોત. ગ્રામજનો બુટલેગર અને દારૂ બનાવવા વાળા સામે તો કાર્યવાહીની માગણી સાથે પોલીસના ભ્રષ્ટ અધિકારીઓ પર ખાસ તપાસ નિમણૂંક કરવાની માગણી કરતા પણ જોવા મળ્યા હતા.
- રાજ્ય સરકાર અને પોલીસની પરીક્ષા
આ તકે રાજ્ય સરકારની કાયદેસરની કાર્યવાહી કરવાની નિષ્ઠા અને દારૂબંધીનો કડક અમલ કરાવવા માટેની ઈચ્છા શક્તિ રાજ્યના નાગરિકોને જોવા મળશે. સાથે જ આ લઠ્ઠાકાંડના જવાબદાર બુટલેગરો દારૂ બનાવનારા સાથે જ જવાબદાર અધિકારીઓને કાયદાના સકંજામાં લઈ કાર્યવાહી કરવાથી મૃતકના પરિજનોને ન્યાય મળે છે કે કેમ તે પણ નાગરિકોને જોવું રહ્યું.








