નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ બોડાદમાં લઠ્ઠાકાંડની ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે. કોઈ કે એકનો એક ભાઈ તો કોઈ કે પરિવારનો મોભી ગુમાવ્યો છે. પોલીસ અને બુટલેગરોની મિલીભગતના કારણે ગામનો માહોલ વેરવિેખેર થઈ ગયો. જોકે આ બનાવ બાદ હવે ડેમેજ કંટ્રોલ કરવા માટે પોલીસ તંત્ર ઉંઘમાંથી ઉઠી હોય તે પ્રકારે અલગ-અલગ જિલ્લાઓમાં દારૂના અડ્ડાઓ પર કાર્યવાહી શરૂ કરી છે.
બોડાદમાં લઠ્ઠાકાંડ સામે આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર જિલ્લાઓમાં ચાલતા દારૂના અડ્ડાઓના વીડિયો ફેલાવાના શરૂ થયા હતા. ગુજરાતમાં દારૂબંધી છે તો પછી દારૂના અડ્ડા કોની મહેરબાનીથી ધમધમી રહ્યા છે? તે એક મોટો સવાલ છે. સોશિયલ મીડિયા પર દારૂના અડ્ડાઓના વીડિયો વાયરલ થતા પોલીસ જાણે પોતાની ઈજ્જત બચાવી રહી હોય તેમ અડ્ડાઓ પર તવાઈ બોલાવી રહી છે. ત્યારે સ્થાનિકોમાં ચર્ચા ચાલી રહી છે કે રાત-દિવસ ધમધમતા અડ્ડાઓ વિષેની જાણકારી આજે જ પોલીસને મળી હશે ? શું આ કાર્યવાહી થોડા દિવસ પુરતી છે કે કાયમ રેવાની છે?
લઠ્ઠાકાંડ બાદ સૌ પ્રથમ સવારે રાજકોટમાં પોલીસ દ્વારા દારૂના અડ્ડાઓ પર રેડ કરવામાં આવી હતી. ત્યાર બાદ વડોદરા અને સુરતમાં પણ આ પ્રકારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોકે અમદાવાદમાં પણ દારૂના અડ્ડા ચાલતા હોવાનું પોલીસને યાદ આવતા બપોર બાદ અમદાવાદના પોલીસ કમિશનરએ દારૂના અડ્ડાઓ પર રેડ કરવાનો આદેશ આપતા પોલીસ જે અડ્ડાઓની તરફ નજર નહોતી કરતી તે જગ્યાએ કાર્યવાહી કરવા પહોંચી છે. અમદાવાદમાં “દેશી દારૂનું હબ” માનવામાં આવતો વિસ્તાર રાયપુરમાં આવેલા કાંટોડીયા વાસમાં PCB પોલીસ દારૂના અડ્ડા ગોતવા માટે નીકળી હતી.








