નવજીવન ન્યૂઝ. સુરત: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હોસ્પિટલ્સ અને શાળાઓ તેમજ ટ્યુશન ક્લાસમાં આગ લાગવાના ઘણા કિસ્સા સામે આવ્યા છે, જેના કારણે ઘણા લોકોએ જીવ પણ ગુમાવવો પડ્યો છે. ત્યારે ફાયર વિભાગ દ્વારા દરેક બિલ્ડિંગને ફરજિયાત ફાયર NOC લેવા માટે નિયમ બનાવવામાં આવ્યો છે. આ નિયમ અંતર્ગત ફાયર વિભાગ અઢળક બિલ્ડિંગ્સને નોટિસ આપી ચૂક્યું છે, ત્યારે હવે આજે સુરતમાં સિવિલ હોસ્પિટલમાં જ ત્રણ બિલ્ડિંગને ફાયર વિભાગ દ્વારા NOC મુદ્દે નોટિસ આપવામાં આવી છે.
સુરતની સિવિલ હોસ્પિટલની ત્રણ બિલ્ડિંગને ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટી મુદ્દે નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગ, કિડની હોસ્પિટલનું બિલ્ડિંગ અને કોવિડ હોસ્પિટલ બિલ્ડિંગનો સમાવેશ થાય છે. આ બિલ્ડિંગ્સમાં ICUમાં આગ અવરોધક પડદા, બેડશીટની સુવિધા અને સિલિંગનું બાંધકામ યોગ્ય ન હોવાને કારણે આ બિલ્ડિંગ્સને ફાયર વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે તેવું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આમદવાદની શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની હતી અને સુરતમાં તક્ષશીલા ટ્યુશન ક્લાસમાં આગ લાગવાની ઘટના બની હતી જેમાં મોટા પ્રમાણમાં જાનમાલનું નુકસાન થયું હતું જેના કારણે હવેથી દરેક હોસ્પિટલ સહિત બિલ્ડિંગ્સને ફાયર સેફ્ટી NOC લેવું ફરજિયાત છે.
આ મુદ્દે વાત કરતાં SMCના ફાયર વિભાગના ચીફ ફાયર ઓફિસર બસંત પરીખે જણાવ્યું હતું કે, “સિવિલના ICUમાં આગ અવરોધક પરદા, બેડસીટ, સિલિંગ એટલે કે છત સહિતનું બાંધકામ યોગ્ય હોવું જોઈએ. સિવિલની તમામ બિલ્ડિંગમાં AC, વીજળીના ઉપકરણ અને વેન્ટિલેટર, ફિલ્ટર સહિતના ઇલેક્ટ્રીક સાધનોનું નિયમિત મેઇન્ટેનન્સ કરવાનું હોય છે અને તેનો રિપોર્ટ સિવિલ તંત્રએ ફાયર વિભાગને રજૂ કરવાનો રહેશે. આગ ન લાગે અને યોગ્ય રીતે સાવચેતી રાખવા માટે સિવિલની ત્રણેય બિલ્ડીંગને નોટિસ આપવામાં આવી છે.”








