નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે દરેક પક્ષ દ્વારા એકબીજા ઉપર આક્ષેપ-પ્રત્યાક્ષેપ થતાં જ રહે છે. આ વર્ષે યોજવા જઈ રહેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ગુજરાતની રાજનીતિમાં નવી આવેલી આમ આદમી પાર્ટીને મુખ્ય વિરોધી ગણી રહી છે. ત્યારે બે દિવસ અગાઉ પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદીએ એક નિવેદન આપ્યું હતું જેના વિરોધમાં આજે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ અમદાવાદ સહિત ગુજરાતનાં મોટા મોટા શહેરોમાં રસ્તા ઉપર ઉતારી આવ્યા હતા.
બે દિવસ અગાઉ નરેદ્ર મોદીએ નિવેદન આપ્યું હતું કે, “દેશમાં કેટલાક લોકો જનતાને મફતની સેવાના નામે રેવડિયો વેચી રહ્યા છે.” PMના આ નિવેદનને લઈને આજે આમ આદમી પાર્ટીએ વિવિધ સ્થળોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. અમદાવાદ, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, વડોદરા સહિત તમામ જિલ્લાઓજીમાં આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ દ્વારા શાંતિપૂર્વક રીતે પ્રદર્શન કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ કેટલીક જગ્યાએ પ્રદર્શન શરૂ થાય તે પહેલા જ AAPના કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

અમદાવાદમા આમ આદમી પાર્ટીના નેશનલ જોઇન્ટ સેક્રેટરી ઈશુદાન ગઢવી અને મનોજ સોરઠિયાની આગેવાનીમાં આ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ ઈશુદાન ગઢવી આ કાર્યક્રમમાં હજાર રહ્યા નહતા. મનોજ સોરઠિયાની આગેવાનીમાં અમદાવાદમા આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, પરંતુ વિરોધ પ્રદર્શન થાય તે પહેલા જ પોલીસ દ્વારા મનોજ સોરઠિયા સહિતના નેતાઓ અને કાર્યકર્તાઓની અટકાયત કરી લેવામાં આવી હતી.
આમદવાદની જેવી જ રીતે ગુજરાતનાં અલગ અલગ જિલ્લાઓમાં પણ પ્રધાનમંત્રીએ મોદીના નિવેદનને લઈને વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો. મોટા ભાગે દરેક જિલ્લામાં પોલીસ બળનો ઉપયોગ કરીને વિરોધ દબાવી દેવામાં આવ્યો હતો અને આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓની અટકાયત કરી લેવામાં આવી હતી.








