નવજીવન ન્યૂઝ.વડોદરાઃ એક પરિવાર જ્યારે દીકરીને જીવાડવા માટે આમ તેમ વલખા મારતો હોય ત્યારે તેની ભાવનાઓ કેવી હશે, તેમના ચહેરાની રેખાઓમાં ચિંતા આપણે સ્પષ્ટ વાંચી શકીએ તેવી હોય તે સ્વાભાવિક છે. જોકે આ ચિંતાની રેખાઓ તંત્રના કાળજાને કંપાવી નાખે તેટલી તાકાતવર નથી હોતી, કારણ તેમને આ ઘટના પછી પણ બહુ ઝાઝો ફેર પડવાનો નથી. આ ઘટનામાં પરિવાર બીમાર દીકરીની સારવાર માટે આમ તેમ ભટક્યો વરસાદના પાણી ભરાયા હોવાને કારણે તે લાચાર બન્યો પરંતુ ગમે તેટલા વલખા છતાં તે સમયસર હોસ્પિટલ ન પહોંચી શકતા સંતાને શ્વાસ છોડી દીધા હતા.
વડોદરાના ડભોઈ તાલુકામાં ભારે વરસાદ પડ્યો છે. સેજપુરા ગામના આદિવાસી પરિવાર માટે આ વરસાદ દુઃખદ પ્રસંગ લઈને આવ્યો છે. ગામની ચારે તરફ પાણી ભરાવાને કારણે 16 વર્ષની દીકરીને સમયસર સારવાર ન મળી રહેતા તે મોતને ભેટી છે. અહીં સુધી કે મૃત્યુ પામ્યા પછી લાશને પાછી ગામમાં લઈ જવામાં પણ તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. આખરે મામાએ જીવ જોખમમાં મુકી ભાણીની લાશને ઉચકી લઈને રડતા રડતા વહેતું પાણી પાર કર્યું અને પછી તેઓ ગામમાં પહોંચી શક્યા હતા.
ધો-10માં ભણતી સેજપુર ગામની રેણુકા મહેન્દ્રભાઈ વસાવા બે દિવસથી બીમાર હતી. તેને ઉલ્ટીઓ થવાની શરૂ થતાં તેઓ તેને લઈ રિક્ષામાં કારવણ ગામના સરકારી દવાખાને લઈ જવા નીકળ્યા પણ ભારે વરસાદને કારણે રસ્તાઓ બંધ હતા. તો છત્રાલ થઈને કારવણ જવાનું નક્કી કર્યું પરંતુ છત્રાલ ગામના રસ્તાઓ પર પાણી હોવાને કારણે તેઓને મંડાળા ગામ તરફ ડાયવર્ટ થવાનું નક્કી કરવું પડ્યું. જોકે ગમે તેમ કરી તેઓ હોસ્પિટલ પહોંચે તે પહેલા રસ્તામાં જ રેણુકાએ જીવ છોડી દીધો હતો. તેઓ જ્યારે કારવણ હોસ્પિટલમાં પહોંચ્યા ત્યારે તબીબે તપાસતા તેને મૃત જાહેર કરી, ડોક્ટરના મોંઢેથી નીકળેલા આ શબ્દો પરિવાર માટે વજ્રઘાત સમાન હતા. નાનકી દીકરીનું આવી રીતે અવસાન થશે તેવું પરિવારને સ્વપ્નેય અંદાજ ન્હોતો.
જોકે પરિવારની મુશ્કેલીઓ અહીં અટકી નહીં. પરિવાર જ્યારે તેની લાશને લઈને પરત ગામમાં આવવા માગતો હતો ત્યારે એમ્બ્યૂલન્સ મારફતે આવતી વખતે જ્ારે ખાનપુરાના રસ્તા પરથી સેજપુરા આવવા નીકળ્યા પરંતુ ગામના રસ્તા ધોવાઈ ગયા હતા. તૂટેલા રોડ રસ્તાને કારણે ચાલકે એમ્બ્યૂલન્સ આગળ લઈ જવાની હિંમત કરી નહીં. જેને પગલે ચાલકે પરિવારને ત્યાં જ મુકી દેતા પરિવાર માટે મુશ્કેલી સર્જાઈ. હવે તે દરમિયાન રેણુકાના પિતા ન હોવાને કારણે લાશ સાથે રહેલા મામાએ સેજપુરાથી બીજા વાહન મગાવ્યા પરંતુ સામેથી આવેલી ઈકો કાર ચાલક પણ તૂટેલા રોડ પર આવવાની હિંમત કરી શક્યો નહીં. આખરે મામાએ જાતે જ રડતી આંખે બીજી કાર સુધી મૃતદેહને ઉચકી લઈને વહેતા પાણીમાંથી પસાર થવું પડ્યું અને કારમાં પછી તેઓ ગામમાં પહોંચ્યા અને રેણુકાની અંતિમવિધિના કામમાં જોડાયા. દરેક ગામમાં આરોગ્ય કેન્દ્રોની બડાઈઓ અહીં આ ઘટનામાં ફિયાસ્કો સાબિત થઈ હતી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








