નવજીવન ન્યૂઝ. કચ્છ: કચ્છવાસીઓને નર્મદાનું નીર મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. કચ્છ માટે જીવાદોરી સમાન એવી નર્મદા કેનાલનું કામ માંડવીના મોડકુંબા સુધી પૂર્ણ થતાં કેનાલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. ગામવાસીઓને કેનાલના ટેસ્ટિંગ અંગેની જાણ થતા મોટી સંખ્યામાં ગ્રામજનો નર્મદાના નીરના વધામણા કરવામાં ઉમટી પડ્યા હતા, પરંતુ કચ્છવાસીઓની ખુશી પર 24 કલાકમાં જ પાણી ફરી વળ્યા હતા.
કચ્છમાં ગઈકાલે ઢોલનગારા સાથે નર્મદાના નીરના વધામણા કરવામાં આવ્યા. કચ્છની સૂકી ધરતી પર નીર પહોંચતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જામ્યો હતો, પરંતુ કેનાલમાં નીર છોડ્યાના 24 કલાકમાં જ કેનાલમાં બે મોટા ગાબડા પડી જતાં પાણી ખેતરોમાં ફરી વળ્યા હતા. ગઈકાલે જે ખેડુતો નર્મદાના નીરથી ખુશીની ઉજવણી કરતાં હતા તે જ ખેડુતો ચીંતામાં મુકાયા હતા.
કચ્છના બીદડા ગામે નર્મદા કેનાલમાં મોટા મોટા બે ગાબડા પડતાં ભ્રટાચારની પોલ ખુલી ગઈ હતી. અંહી સવાલએ થાય કે માત્ર ટેસ્ટીંગ પુરતું પાણી છોડવામાં આવતા ગાબડા પડી જતાં હોય તો જ્યારે પુર જોશમાં પાણી છોડવામાં આવશે ત્યારે કેનાલમાં કેટલા ગાબડા પડશે? નબળી ગુણવત્તા કામગીરી કરવા વાળા કોન્ટ્રાક્ટર્સ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે એક મોટો સવાલ છે.








