નવજીવન ન્યૂઝ. સુરત: સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના વાંસવા ગામે આજે શાળા પ્રવેશોત્સવમાં ઉપસ્થિત રહેલા કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રી મુકેશ પટેલે વાંસવા પ્રાથમિક શાળામાં પહેલા ધોરણમાં પ્રવેશ મેળવનારી નાનકડી પ્રાચીને ગોદમાં બેસાડી લાગણીસભર સંવાદ કર્યો હતો. તેમણે પ્રાચીને સહજભાવે પૂછ્યું કે “બેટા, તારા પપ્પા શું કરે છે?” ત્યારે પ્રાચીએ ‘પિતા નથી’ તેવો જવાબ આપ્યો. પિતાની છત્રછાયા વિનાની આ બાળકીની ભાષામાં પિતા ન હોવાનું દુઃખ છલકાતું હોવાનું મંત્રીએ અનુભવ્યું. “તારે શું બનવું છે?” એવું મંત્રીશ્રી પૂછ્યું ત્યારે ધો.૧માં પ્રવેશ મેળવનારી પ્રાચીએ ડોક્ટર બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
પિતાનો આધાર ગુમાવનારી બાળકીને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે એ વાસ્તવિકતાથી આપણે સૌ કોઈ સુપરિચિત છીએ, ત્યારે આ વાતને સારી રીતે સમજતા કૃષિ રાજ્યમંત્રી મુકેશ પટેલનો સંવેદના સભર અભિગમ સામે આવ્યો હતો. તેમણે આ બાળકીનો અભ્યાસનો તમામ ખર્ચ જાતે ઉઠાવશે એવી જાહેરાત કરી હતી. આ દીકરી ડોક્ટર બને ત્યાં સુધી તેની તમામ જવાબદારી પોતાના શિરે રહેશે એમ જણાવ્યું ત્યારે ઉપસ્થિત સૌએ મંત્રીના સંવેદનાસ્પર્શી અભિગમને વધાવી લીધો હતો.
સાત વર્ષીય પ્રાચી પટેલ જ્યારે એક વર્ષની હતી ત્યારે તેના પિતા સંજય પટેલનું માત્ર ૨૫ વર્ષની યુવાન વયે સાપ કરડવાથી અવસાન થયું હતું. પ્રાચી એકમાત્ર તેમનું સંતાન છે. બાળકી માતા સાથે વાંસવા ગામના આમલી ફળિયામાં રહે છે. પરિવારનું ગુજરાન ચલાવવા પ્રાચીની માતા હજીરામાં આવેલી કંપનીના ઓઈલ કેન પેકેજિંગ વિભાગમાં નોકરી કરે છે. પ્રાચીના વર્ગશિક્ષિકા મનિષાબેન પટેલે જણાવ્યું કે, “પ્રાચી ભણવામાં ખૂબ તેજસ્વી છે. તેની ગ્રહણશક્તિ ખૂબ સતેજ છે. એક વાર શીખવેલું તે ક્યારેય ભૂલતી નથી. રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલ પ્રવેશોત્સવમાં સહભાગી થયા તેનો આનંદ છે, પરંતુ વિશેષ ગર્વ એ છે કે તેમણે પ્રાચીને પિતા સમાન હૂંફ આપી કન્યા કેળવણીના લક્ષ્યને સાચા અર્થમાં સાર્થક કર્યું છે.”
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











