નવજીવન ન્યૂઝ. રાજકોટ: ગુજરાતમાં એક તરફ ઉનાળો દરવર્ષની સપાટી પાર કરી ગયો છે ત્યારે આટલી ગરમીમાં લોકોને પાણીની જરૂરિયાત વધી જાય તે અત્યંત સ્વાભાવિક બાબત છે. ત્યારે રાજકોટમાં ત્રણ દિવસનો પાણીનો કાપ આવતા લોકો રોષે ભરાયા હતા. નર્મદા યોજના આધારિત ન્યારા ઓફ ટેક પરનો રો-વોટર સમ્પ સાફ કરવાનો હોવાને કારણે કોર્પોરેશન દ્વારા ત્રણ દિવસનો પાણીકાપ આપવામાં આવતા લોકોમાં રોષની લાગણી જોવા મળી છે. આજે પાણીકાપનો બીજો દિવસ છે અને આજે શહેરના વોર્ડ નં. 1, 2, 3, 8, 9, 10, 11 અને 13 સહિત આઠ વોર્ડમાં પાણી નહીં મળે. આજે પાણી ન મળતા બબીતા કોટેચા નામની મહિલાએ જણાવ્યું હતું કે, સરકાર પોતાના તાયફાઓ કરવામાં અને રોડ-શો કરવામાં વ્યસ્ત છે. તેમજ મહિલાઓએ હાય રે ભાજપ હાય હાયના સુત્રોચ્ચાર કર્યા હતા.
બબીતા કોટેચાએ વધુમાં જણાવ્યું હતું કે, “પાણીને લઈને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે. સવારથી રાત સુધી પાણીની જરૂરિયાત છે, પણ સરકારને દેખાતી નથી. સરકાર પોતાના તાયફાઓ કરવામાં અને રોડ-શો કરવામાં વ્યસ્ત છે. સામાન્ય લોકોની મુશ્કેલી દેખાતી નથી. મોટી મોટી યોજનાની વાતો કરે છે એ માત્ર કાગળ પર છે. પાણી આવે તો પણ 10 મિનીટ પુરતું અને ઓછા ફોર્સથી આવે છે. તેમજ દુર્ગંધયુક્ત પાણી મળતા ઘણા લોકો બીમાર પડી રહ્યા છે. સરકાર પાણીના મુદ્દા પર ધ્યાન આપે એવી મારી માગણી છે.”
રાજકોટ મહાપાલિકાએ જાહેર કર્યા પ્રમાણે આજે બજરંગવાડી હેડવર્કસ હેઠળ આવતાં વોર્ડ નં.2 (પાર્ટ), વોર્ડ નં.3 (પાર્ટ)માં પાણીકાપ રહેશે. જ્યારે રૈયાધાર આધારીત ગાંધીગ્રામ અને 150 ફૂટ રિંગરોડ હેડ વર્કસ હેઠળ આવતાં વોર્ડ નં.1, 2 (પાર્ટ), 9 (પાર્ટ) અને 10 તેમજ રેલનગર હેડવર્કર્સમાં આવતાં વોર્ડ નં.13 (પાર્ટ), ચંદ્રેશનગર હેડવર્કર્સ હેઠળ આવતાં વોર્ડ નં.8 (પાર્ટ) 11 (પાર્ટ) અને 13 (પાર્ટ)માં પાણી વિતરણ કરવામાં આવશે નહીં.
જ્યારે તા.29 એપ્રિલને શુક્રવારે એટલે આવતી કાલે બજરંગવાડી વોર્ડ નં.2 (પાર્ટ), 3 (પાર્ટ) તેમજ મવડી વોર્ડ નં.8 (પાર્ટ), 11 (પાર્ટ), 12 (પાર્ટ), 13 (પાર્ટ)માં પાણી વિતરણ પ્રભાવિત થશે તેવું જાહેર કરવામાં આવ્યું છે. તેમાં વોર્ડ નં. 1માં રામેશ્વર પાર્ક (પાર્ટ-2), વિદ્યુનગર જજ બંગલો, આલાપ ગ્રીન સિટી, ગોવિંદનગર, ગોપાલનગર, ધરમનગર આવાસ યોજના, રવિ રેસિડેન્સી, ઋષિ વાટિકા, શાસ્ત્રીનગર સહિતના વિસ્તારો ઉપરાંત વોર્ડ નં.2માં રંગ ઉપવન સોસાયટી, છોટુનગર મફતિયાપરા, વોર્ડ નં.9માં મીરાનગર, શ્રીજી પાર્ક, સરસ્વતી પાર્ક, અંજની પાર્ક, હિરામણીનગર, વિતરાગ સોસાયટી, નેમીનાથ સોસાયટી, દીપક સોસાયટી સહિતના અનેક વિસ્તારોનો સમાવેશ થાય છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











