વિશાલ મિસ્ત્રી (નવજીવન ન્યૂઝ. રાજપીપળા): ગુજરાત ભાજપનાં સિનિયર સાંસદ મનસુખ વસાવાએ એક લેટર બોમ્બ ફોડ્યો છે. તેમણે દેશનાં નાણામંત્રી નિર્મલા સીતારામનને પત્ર લખી સીધે સીધો એવો આક્ષેપ કર્યો છે કે ગુજરાત સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અમદાવાદ સર્કલમાં ભરતી કૌભાંડ થયું છે. ભાજપ સાંસદ મનસુખ વસાવાએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, ઉમેદવારને રાજ્યની સ્થાનિક ભાષામાં જ્ઞાન હોય એ જ અરજી કરી શકે એવું સ્પષ્ટ જણાવ્યું હોવા છતાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, અમદાવાદ વર્તુળ (ગુજરાત)માં જુનિયર એસોસિએટ્સ (ક્લાર્ક)ની ભરતીમાં સ્થાનિક ભાષા જાણતા ન હોય તેવા ઉમેદવારોની પસંદગી થઈ છે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાએ બેંકના વિવિધ રાજ્યોમાં ખાલી પડેલી જુનિયર એસોસિયેટ (ક્લાર્ક)ની જગ્યાઓ માટે પાત્ર ભારતીય નાગરિકો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી હતી. જે તે રાજ્ય માટે અરજદાર ઉમેદવાર તે રાજ્યની સ્થાનિક ભાષામાં “નિપુણ” હોવી જોઈએ એવું જાહેરાતમાં જણાવાયું હતું. જો ઉમેદવાર સ્થાનિક ભાષાની પરીક્ષામાં નાપાસ થશે, તો તેને બેંકમાં નિમણૂક માટે ગેરલાયક ઠેરવવામાં આવશે.

તે છતાં, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અમદાવાદ સર્કલ (ગુજરાત)માં તાજેતરમાં પસંદ કરાયેલા 660 ઉમેદવારોમાંથી માત્ર 15 થી 20 ટકા જ ગુજરાત રાજ્યના અને બાકીના 80 થી 85 ટકા અન્ય રાજ્યોના છે જેમને સ્થાનિક ભાષાનું કોઈ જ્ઞાન નથી. આ એક દેખીતી રીતે ભરતી કૌભાંડ હોવાનું મને જણાયું છે. આ ભરતી પ્રક્રિયામાં થયેલી ગેરરીતિઓની તપાસ કરવા અને સ્થાનિક ભાષામાં નિપુણ ન હોવા છતાં ખોટી રીતે પસંદ કરાયેલા ઉમેદવારોની ભરતી રદ કરવા તાત્કાલિક વ્યવસ્થા કરવા વિનંતી કરું છું. સાથે સાથે આ કૌભાંડમાં સંડોવાયેલાઓને કડકમાં કડક સજા થવી જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ ઠગ સરકારની નીતિ સાથે છેડછાડ કરીને સરકારને ભીંસમાં ન મૂકે.
આપણા દેશની કોઈ પણ બેંકની શાખામાં આવતા ગ્રાહકો માંથી 90% તે રાજ્યના સ્થાનિકો છે તેમજ શાખામાં પ્રવેશતા ગ્રાહકોનો પ્રથમ સીધો સંપર્ક ત્યાં બેઠેલા ક્લાર્ક-કેશિયર સાથે થાય છે. આને ધ્યાનમાં રાખીને, સરકારે રાષ્ટ્રીયકૃત બેંકોના ક્લાર્કની ભરતી માટેના નિયમોમાં એક કલમ દાખલ કરી છે કે કારકુનની જગ્યા માટે અરજદાર ઉમેદવારને રાજ્યની સ્થાનિક ભાષામાં જ્ઞાન હોવું જોઈએ.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











