નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરતના વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને ગઇકાલે મોડી રાત્રે આસામ પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી. જિગ્નેશ મેવાણીની ધરપકડના અનુસંધાનમાં આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા અમદાવાદના સારંગપુર વિસ્તારમાં આવેલા ડૉ. બી.આર.આંબેડકરના સ્ટેચ્યું આગળ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જો કે પોલીસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવા પહોંચેલા ગુજરાત કોંગ્રેસનાં પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના નેતાઓની અટકાયત કરી લેવામાં આવી હતી.
કોંગ્રેસનાં નેતાઓનું કહેવું છે કે જિગ્નેશ મેવાણીની ધરપકડ ગેરબંધારણીય રીતે કરવામાં આવી છે આસામની પોલીસે જિગ્નેશની ધરપકડ કેમ કરી તે અંગે કોઈ જાણકારી આપી ન હતી, અમે ઘણી રજૂઆત કરી ત્યારે માત્ર FIRનો એક ભાગ આપ્યો હતો જેમાં જિગ્નેશ મેવાણીની એક ટ્વિટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, એક નજીવી ટ્વિટ બાબતે એક ધારાસભ્યની ધરપકડ કરવામાં આવે છે અને તેમાં પણ ધારાસભ્યને પકડવા માટે જે કાયદાકીય પ્રક્રિયા કરવી પડે તે કરી નથી.
ગુજરાત કોંગ્રેસનાં પ્રમુખ જગદીશ ઠાકોરે મીડિયાને જણાવ્યુ હતું કે, “ભાજપ 2022 વિધાનસભાની ચૂંટણી પહેલા શું કરવા માગે છે? તેમની સરકાર સામે જે કોઈ પણ બોલે તેની સામે ખોટી ખોટી FRI કરવામાં આવી રહી છે, કોંગ્રેસને ડરાવવા માગે છે ધમકવવા માગે છે. અમને એવું લાગતું હતું કે આ એક જ કેસ છે, પણ આવા 4-5 ખોટા કેસ ભાજપનું આસામ એકમ પ્રધાનમંત્રીની દોરવણી નીચે કરી રહ્યું છે. આવી રીતે તેમણે જિગ્નેશ મેવાણીને ગુજરાતમાં કોંગ્રેસનું કામ કરતાં રોકી રહ્યા છે. આજે અમે બાબા સાહેબના સ્ટેચ્યું આગળ તેમને વંદન કરવા આવ્યા છે અને આશીર્વાદ માગીએ છે કે હે બાબા તમે આપેલા બંધારણમાં તમે જે અધિકારો અમને આપ્યા છે તેનું હનન ભારતીય જનતા પાર્ટી કરી રહી છે ત્યારે અમને બળ આપો કે આ તનશાહોની સામે આ ઝૂલમીકારોની સામે કોંગ્રેસ તાકાતથી લડાઈ કરી શકીએ. અમે જિગ્નેશને કહીએ છે કે કોંગ્રેસ અને આખું ગુજરાત તમારી સાથે છે.”








