નવજીવન ન્યૂઝ. બાવળા: આમદવાદ-બગોદરા હાઇવે પર અવાર-નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહી છે. હાઇવે પર કામ ચાલુ હોવાને કારણે પણ અનેક વાર અકસ્માત સર્જાય છે, ત્યારે આજે બાવળા અને બગોદરાની વચ્ચે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક મિનિ ટ્રક આગળ ઊભેલી ટ્રકની પાછળ ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 10 લોકોનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચી છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
મળતી માહીતી મુજબ, અમદાવાદ-બગોદરા હાઇવે પર એક ટ્રકમાં પંચર થતાં ટ્રક રોડની સાઇડમાં ઊભી હતી. તે દરમિયાન પાછળથી આવતી એક મિનિ ટ્રક ઘડાકાભેર આગળ ઊભેલી ટ્રક સાથે ટકરાઇ હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે, છોટા હાથીમાં સવાર 10 લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થાય હતા, જ્યારે 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને બગોદરા આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા લઈ જવામાં આવ્યા હતા.

આ અકસ્માતમાં 10 લોકોના મૃત્યુ થયા છે, હાલ પોલીસ દ્વારા અકસ્માત અંગે અકસ્માત મોતનો ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. પ્રાથમિક વિગતો મુજબ છોટા હાથીમાં સવાર લોકો કપડવંજના સુણદા ગામના હતા અને ચોટીલા મંદિરમાં દર્શન કરીને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. જેમાંથી 10 લોકોના મૃત્યુ થયા છે અને 3 લોકોને સારવાર માટે બગોદરાના આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે.








