નવજીવન ન્યૂઝ. વડોદરાઃ વડોદરાના પાદરામાં ફૂડ પોઈઝનિંગનો બનાવ સામે આવ્યો છે. લગ્ન પ્રસંગ દરમિયાન ભોજન લીધા બાદ એકસાથે 200થી વધુ લોકોની તબીયત લથડી હતી. ભોજન સમારંભ બાદ ખોરાકી ઝેરની અસર થતાં તમામને ગોત્રી હોસ્પીટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ફૂડ પોઈઝનિંગનો(Food Poisoning)બનાવ બનતા આરોગ્ય વિભાગ દોડતુ થયું હતું સાથે સ્થાનિક ધારાસભ્ય અને કલેક્ટર દોડી આવ્યા હતા.
પ્રાપ્ત વિગત અનુસાર, વડોદરાના પાદરાના રાયપુરા ગામમાં લગ્ન પ્રસંગમાં જમણવારમાં ભોજન લીધા બાદ અંદાજીત 200થી વધુ લોકોને પેટમાં દુઃખાવો, ઉલટી અને ઉબકા આવવાની ફરિયાદો સામે આવી હતી. અચાનક એકસાથે મોટી સંખ્યામાં લોકોની તબીયત લથડતા ગ્રામજનો ચિંતામાં મુકાયા હતા. તમામ અસરગ્રસ્ત લોકોને નજીકની સ્થાનિક હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, છ દિવસ પહેલા જ પાદરાના ગોવિંદપુરા વિસ્તારના ધાર્મિક કાર્યક્રમમાં 123 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. આ પ્રસંગમાં ખીર ખાધા બાદ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. છ દિવસમાં ફૂડ પોઈઝનિંગનો બીજો બનાવ સામે આવતા પાદરા ફૂડ પોઈઝનિંગનું હબ બની રહ્યુ હોય તેમ લાગી રહ્યુ છે.
પાદરાના રાયપુરા ગામમાં બળવંતસિંહ મગનસિંહ પઢીયારના ઘરે લગ્ન પ્રસંગ હતો. આ પ્રસંગમાં 3000 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જમણવારમાં મેંગો ડિલાઇટ સ્વીટ સહિત વિવિધ વાનગીઓ રાખવામાં આવી હતી. જિલ્લા આરોગ્ય વિભાગના તબીબોની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે, આ ચીજ વસ્તુઓ પર મેંગો ડિલાઈટ ખાવાના કારણે લોકોને અસર થઈ છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મીનાક્ષીબેન ચૌહાણે જણાવ્યું હતું કે, લગ્ન પ્રસંગમાં 226 જેટલા લોકોને મેંગોલાઇટ સ્વીટ ખાવાના કારણે ખોરાકની ઝેરી અસર થઈ હતી. 100થી વધુ લોકોને ગોત્રી મેડિકલ કોલેજ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જેમને ઓપીડી બેઝ પર સારવાર આપવામાં આવી હતી. 87 લોકોને ગોત્રી મેડિકલ કોલેજ હોસ્પિટલ, 19 લોકોને ખાનગી હોસ્પિટલ, 5 લોકોને પાદરા સીએચસી ખાતે દાખલ કરવામાં આવ્યા છે. જે પૈકી 19 દર્દીઓને રજા આપવામાં આવી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








