નવજીવન ન્યૂઝ. લખનઉ: ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં એક દર્દનાક અકસ્માત થયો છે. આ અકસ્માતમાં આઠ મુસાફરોના મોત થયા છે. જ્યારે 12થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ક્ષતિગ્રસ્ત વાહનોને હાઈવે પરથી હટાવી ટ્રાફિકને દૂર કર્યો છે.
મળતી માહિતી મુજબ, બારાબંકીના હૈદરગઢમાં પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર ઉભેલી બસ સાથે બીજી બસ અથડાઈ હતી. એક ડબલ ડેકર બસ લગભગ 50 મુસાફરો સાથે બિહારના દરભંગાના લોખા શહેરથી દિલ્હી જઈ રહી હતી, સોમવારે વહેલી સવારે આ બસ પૂર્વાંચલ એક્સપ્રેસવેના 24 કિમી પર ઉભી હતી. તે દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી બીજી બસે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં બંને બસના મુસાફરોને ઈજા થઈ હતી. ઘાયલોને 108 એમ્બ્યુલન્સ દ્વારા સીએચસી હૈદરગઢ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તબીબે એક મહિલા અને એક કિશોર સહિત આઠ લોકોને મૃત જાહેર કર્યા હતા.
આ ઘટના લોનિકત્રા પોલીસ સ્ટેશન વિસ્તારના નરેન્દ્રપુર મદ્રાહા ગામ પાસે બની હતી. જાણવા મળ્યું છે કે આ બંને ડબલ ડેકર બસો બિહારના સીતામઢી અને સુપૌલથી દિલ્હી જઈ રહી હતી. એએસપી મનોજ પાંડે સહિત પોલીસ અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું હતું. ઘાયલોને સીએચસી હૈદરગઢમાં દાખલ કરવામાં આવ્યા છે. ગંભીર રીતે ઘાયલોને લખનઉ રિફર કરવામાં આવ્યા છે. અનેક ઘાયલોની હાલત ગંભીર છે. બસને ટક્કર મારનાર બસનો ડ્રાઈવર અને ઓપરેટર ફરાર થઈ ગયા હતા. જો કે આ બનાવમાં મૃત્યુઆંક વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.








