નવજીવન ન્યૂઝ.ઉનાઃ ઉના શહેરની મધ્યમાંથી પસાર થતાં નેશનલ હાઇવે ની અતિ બિસ્માર હાલત બાબતે ઉનાના કોંગી ધારાસભ્ય પુંજા વંશ દ્વારા ટાવર ચોકથી વડલા પોલીસ ચોકી સુધીના રોડને નવો બનાવવાની માંગ સાથે વિરોધ નોંધાવી ઉના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. દરમિયાન ધારાસભ્ય અને તેમના ટેકેદારોએ ખાડા દેવો ભવના નારા સાથે ખાડાઓની કંકુ દ્વારા પુજા કરી હતી. અહીં સુધી કે ખાડાના પાણીમાં બેસી ગયા હતા. આ દરમિયાન જે લોકો આ બધુ જોઈ રહ્યા હતા તેઓમાં હાસ્યનું મોજુ ફરી વળ્યું હતું. લોકોને નેતા દ્વારા કરવામાં આવેલો આ વિરોધ અનોખો લાગ્યો હતો.
ઉનાના લામધારના પાટીયા પાસેથી લઈ શહેરની મધ્યમાંથી પસાર થતાં નેશનલ હાઇવે રોડમાં રેલવે ફાટક ટાવર ચોક ત્રિકોણ બાગ એસટી બસ સ્ટેશન મરછુન્દ્રી પુલ તેમજ વ્યાજપુર સુધીના માર્ગમાં મસ મોટા ખાડાઓ પડતાં ગુરુ પૂર્ણિમાના શુભ દિને ધારાસભ્ય પુંજા વંશ તેમજ કાર્યકર્તાઓ દ્વારા ખાડાઓમાં બેસી જળ માથે ચડાવી ખાડા દેવો ભવની પુજા કરી સ્થાનિક ચીફ ઓફિસર તેમજ તંત્રને ભગવાન બુધ્ધિ આપે તે બાબતે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.
વેરાવળ ભાવનગર નેશનલ હાઈવે રોડ ઉના શહેરની મધ્યમાંથી પસાર થતો હોય જે લામધાર ગામના પાટીયાથી વ્યાજપુર ગામના બાયપાસ સુધીના માર્ગમાં મસ મોટા ખાડાઓ પડી જવાથી વાહન ચાલકો તેમજ રાહદારીઓને જવામાં ભારે મુશ્કેલીઓ સહન કરવી પડતી હોય છે. સ્થાનિક તંત્રને તેમજ નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓને પણ અવારનવાર ધારાસભ્ય દ્વારા રજૂઆતો કરવા છતાં પણ કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હોવાની નારાજગી પણ તેમણે વ્યક્ત કરી હતી. ઉના શહેરમાંથી પસાર થતાં નેશનલ હાઈવેનું કામ એજન્સીઓને આપવામાં આવતું હોય છે તેમાં પણ મસ મોટા ખાડાઓ પડી જવાથી હાલ ચોમાસાની સિઝન શરૂ છે ત્યારે 12 ઇંચથી વધુ વરસાદ પડતા અડધાથી દોઢ ફૂટ જેટલા મોટા ખાડાઓ પડી ગયા છે ત્યારે નગર પાલિકા તંત્ર વરસાદી પાણીના નિકાલની કામગીરીમાં નિષ્ફળ નીવડયું છે. જેમાં શહેરના વરસાદી પાણીના નિકાલની જવાબદારી ઉના નગરપાલિકાની છે જે બાબતે કલેકટરની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં ઉના નગરપાલિકા ચીફ ઓફિસરને વરસાદી પાણી નિકાલ માટે જણાવેલ હતું, છતાં પણ પાણી નિકાલની કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હોવાની તેમણે નારાજગી વ્યક્ત કરી હતી.
ઉના શહેર વિસ્તારમાં મસ મોટા ખાડામાં પડી જવાથી ઇમરજન્સી એમ્બ્યુલન્સ, ગર્ભવતી મહિલાઓ તેમજ મોટર કાર, મો. સાયકલ તેમજ ચાલીને જવામાં પણ લોકોને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ઉનાના ધારાસભ્ય દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાતા મળેલી બેઠકમાં નેશનલ હાઇવેના અધિકારીઓ દ્વારા કલેકટરની હાજરીમાં રોડ બનાવવાની ખાતરી આપવા છતાં આજ દિન સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતા ઉનાનાં ધારાસભ્ય પુંજા વંશ, ગુણવંત તળાવીયા, કમલેશ બાંભણિયા, રામ ડાભી, સુરૈયાબેન શેખ, સરવર ચૌહાણ સહિત કોંગ્રેસ અગ્રણીઓએ સ્થાનિક તંત્ર તેમજ નેશનલ હાઈવે અધિકારીઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી ઉના પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવ્યું હતું.
(તસવીર-વીડિયો-અહેવાલઃ આભારસઃ ધર્મેશ જેઠવા)
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








