નવજીવન ન્યૂઝ.ઉનાઃ છ વર્ષ પૂર્વે (વર્ષ ૨૦૧૬માં) ગીર ગઢડા તાલુકાના મોટા સમઢીયાળાનો દલિત પરિવાર અત્યાચારનો ભોગ બન્યા તેમને ન્યાય અપાવવા અને આંદોલન કરનાર અનુ.જાતિના અનેક લોકો પર થયેલી ફરિયાદો રદ કરવા સમઢીયાળા કાંડના પીડીતો, સમતા સૈનિક દળ તથા સમગ્ર અનુ.જાતિ સમાજ દ્વારા ઉના પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. માગણીઓ નહીં સંતોષાય તો આગામી સમયમાં તેઓ રાષ્ટ્રપતિ ભવન દિલ્હી ખાતે ઉપવાસ આંદોલન કરશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.
છ વર્ષ પૂર્વે સમઢીયાળા ગામના અનુસૂચિત જાતિના લોકોને ગૌરક્ષકો દ્વારા જાહેરમાં માર મારી અત્યાચાર ગુજારવામાં આવ્યો જે બનાવને લઈ સમગ્ર ગુજરાત રાજ્ય તેમજ ભારત દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. અત્યાચારના બનાવમાં ભોગ બનનાર પરિવારને ન્યાય ન મળવાની રાવ સાથે રાજ્યમાં અનેક લોકો દ્વારા આવેદનો રેલીઓ દ્વારા રજૂઆતો કરવામાં આવ્યા હતા. તે સમય દરમિયાન આંદોલનકારીઓ પર ફરિયાદો કરવામાં આવી હતી. તેમજ અત્યાચાર ગુજારનાર ગૌરક્ષકોના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. તે જામીન નામંજૂર કરવામાં આવે અને દલિત કાંડ બાદ અમરેલીમાં કાઢવામાં આવેલ રેલી દરમિયાન પોલીસ જવાન પડી જતા મૃત્યુ પામ્યા જેમાં પોલીસ ફરિયાદી બનીને રેલી કાઢનાર ૧૬ લોકો સહિત ૭૦૦ લોકોના ટોળા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો તેમાં સાવરકુંડલાના કાંતિભાઈ વાળા પર કેસ કરી ૬ વર્ષથી સજા ભોગવી રહ્યા હોવાને કારણે તેમના પર થયેલી ફરિયાદ રદ કરવામાં આવે તેવી માગ સમાજના અગ્રણીઓ દ્વારા કરવામાં આવી છે.
સમઢીયાળા અનુસુચિત જાતિના લોકો અત્યાચારનો ભોગ બન્યા તે લોકોને ન્યાય અને અત્યાચાર ગુજારનારા આરોપીઓના જામીન રદ કરવામાં આવે તે ઉપરાંત સમાજના અહીં હાજર અગ્રણીઓએ જણાવ્યું હતું કે, ભોગ બનનાર પરિવારને ન્યાય અપાવવા બાબતે આરોપીઓ વિરૂદ્ધ આગામી સમયમાં કાર્યવાહી કરવામાં નહીં આવે તો સમઢીયાળા કાંડના પીડીત પરિવાર સહિતના લોકો દ્વારા દિલ્હી રાષ્ટ્રપતિ ભવન ખાતે ઉપવાસ આંદોલન કરવામાં આવશે તેવી બાલુભાઇ સરવૈયા, વશરામ ભાઈ સરવૈયા, રમેશભાઈ સરવૈયા, જીતુ ભાઈ સરવૈયા, ગીતા બેન પરમાર, શૈલેષ વણજારા સહિતના લોકો દ્વારા ઉના પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવી ચીમકી આપી હતી.
(અહેવાલ-તસવીરો આભારસઃ ધર્મેશ જેઠવા)








