નવજીવન ન્યૂઝ, અમદાવાદ : ભારતના ચૂંટણી પંચ દ્વારા 111 ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026 (Umreth Assembly By-Election) ની જાહેરાત થઈ ગઈ છે. ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીનું જાહેરનામું આગામી તારીખ 30 મી માર્ચ સોમવારના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 6 એપ્રિલ હશે અને 23 એપ્રિલને ગુરુવારના રોજ મતદાન યોજાશે, ત્યારબાદ 4 મે સોમવારના રોજ મત ગણતરી યોજાશે. ઈલેકશન કમિશન ઑફ ઇન્ડિયાએ મીડિયા માટે ‘ઍક્ઝિટ પોલ’ અને ‘ઓપિનિયન પોલ’દર્શાવવા માટે જાહેરનામું જારી કર્યું છે.
2.42 લાખથી વધુ મતદારો છે વિધાનસભા બેઠકમાં
ગુજરાતના ચરોતરમાં આવેલી ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીને લઈને જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરી દ્વારા 19 જેટલા નોડલ ઓફિસરોની નિમણૂક કરવામાં આવી છે. વિધાનસભા પેટા ચૂંટણીમાં 306 મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે. 306 મતદાન મથકો પૈકી 68 મતદાન મથકો શહેરી વિસ્તારમાં અને 238 મતદાન મથકો ગ્રામ્ય વિસ્તારમાં આવ્યા છે. આ ચૂંટણીમાં 1,25,705 પુરુષ અને એક લાખ 1,17,128 મહિલા મતદારો તથા 03 અન્ય મતદારો મળીને કુલ 2,42,836 મતદારો 17 ફેબ્રુઆરી 2026ના રોજ જાહેર કરવામાં આવેલી મતદાર યાદીમાં નોંધાયા છે, જેમાં ઉમરેઠ વિધાનસભામાં 146 સર્વિસ વોટર્સનો સમાવેશ થાય છે.
મીડિયા માટે શું છે જાહેરનામું
ભારતના ચૂંટણી પંચ (Election Commission of India) દ્વારા મીડિયામાં ‘ઍક્ઝિટ પોલ’ અને ‘ઓપિનિયન પોલ’ પ્રકાશિત કે પ્રસિદ્ધ કરવા અંગે જાહેરનામું જારી કરાયું છે. 29 એપ્રિલ, 2026ના રોજ સાંજના 6.30 વાગ્યા સુધી Exit Poll પર પ્રતિબંધ તેમજ મતદાનનો સમય સમાપ્ત થતા પૂર્વેના 48 કલાક દરમિયાન Opinion Poll પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.








