નવજીવન ન્યૂઝ, સુરત : અમદાવાદની પીરાણા ડમ્પિંગ સાઈટ (Piranha Dumping Site) ની જેમ સુરતની ખજોદ ડમ્પિંગ સાઈટ પણ શહેરીજનો માટે આફત બની છે. છેલ્લાં 10 દિવસથી સુરતની ખજોદ ડમ્પિંગ સાઈટ (Surat Khajod Dumping Site) માં લાગેલી ભીષણ આગના ધૂમાડાએ આસપાસના વિસ્તારમાં મિનિ લૉકડાઉન જેવી સ્થિતિનું નિર્માણ કર્યું છે. આગના ધૂમાડાના કારણે હજારો લોકોના શ્વાસ રૂંધાઈ રહ્યાં છે. ખજોદ ડમ્પિંગ સાઈટના કારણે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહેલાં સુરતીઓએ ચૂંટણી બહિષ્કારની ધમકી ઉચ્ચારી છે. અત્રે નોંધનીય છે કે, સ્વચ્છ વાયુ સર્વેક્ષણ-2025 (Swachh Vayu Survekshan 2025) માં સુરત શહેર દેશમાં ત્રીજા સ્થાને આવ્યું હતું.
ખજોદ ડમ્પિંગ સાઈટમાં કરોડોનું કૌભાંડ આચરવામાં આવતું હોવાના અનેક વખત આરોપ લાગી ચૂક્યાં છે. કચરાનો નિકાલ કરવા માટે ફાળવવામાં આવતી મસમોટી રકમ ભ્રષ્ટાચારીઓ ઘર ભેગી કરી દે છે. કચરાનો યોગ્ય નિકાલ કરવાના બદલે તેને સળગાવી દેવામાં આવતો હોવાનો સ્થાનિક રહિશોએ આરોપ લગાવ્યો છે. દેશભરમાં કરાયેલા સ્વચ્છ વાયુ સર્વેક્ષણ-2025માં સુરત શહેર (Surat Municipal Commissioner) ને ત્રીજું સ્થાન મળ્યું હતું. આ શહેરમાં બદનામ થયેલી ખજોદ ડમ્પિંગ સાઈટની આસપાસના વિસ્તારોમાં નર્કાગાર જેવી સ્થિતિનું અનેક વખત નિર્માણ થઈ ચૂક્યું છે.

દસેક દિવસ પહેલાં ખજોદ ડમ્પિંગ સાઈટમાં લાગેલી આગ હજુ પણ બુઝાવાઈ નથી. આગના કારણે ફેલાયેલા ધૂમાડાના કારણે આસપાસના વિસ્તારમાં આવેલી સોસાયટીના રહિશો ઘરના બારી-બારણાં પણ ખોલી શકતા નથી. ઘરમાં પણ લોકો માસ્ક પહેરવા માટે મજબૂર બન્યાં છે.વૃદ્ધો અને નાના બાળકો તો ઘરના બહાર પગ મુકી શકતા નથી. ધૂમાડાના કારણે ફેલાયેલાં ભારે પ્રદૂષણથી અનેક લોકોને શ્વાસ સંબંધિત સમસ્યાઓ શરૂ થઈ ગઈ છે.
આગ લાગવાની ઘટના અને તેના આક્ષેપોને લઈને સુરત મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજને (M Nagarajan) તાજેતરમાં કચરા કૌભાંડના આરોપોને નકારી કાઢ્યા હતા. તેમણે સ્પષ્ટતા કરી હતી કે, ડમ્પિંગ સાઈટ પર કચરાના ઢગલામાં ગરમીના કારણે મિથેન ગેસ ઉત્પન્ન થતો હોય છે અને તેના કારણે આગ ભભૂકી ઉઠી છે. સુરતના દક્ષિણ વિસ્તાર (South Surat) માં ધૂમાડાના કારણે પ્રદૂષણની ગંભીર સમસ્યા સર્જાતા ફાયર વિભાગના ડઝનબંધ ટેન્ડરો અને કર્મચારીઓએ રાત-દિવસ એક કરીને આગ બુઝાવવાની કામગીરી કરી રહ્યાં છે.








