નવજીવન ન્યૂઝ, અમદાવાદ : અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બજારમાંથી લવાયેલા ખીરામાંથી બનેલાં ઢોસા ખાવાથી બે બાળકીઓના શંકાસ્પદ મોત થયા હોવાના આરોપોએ ભારે ચર્ચા જગાવી છે. આ મામલે ચાંદખેડા પોલીસે ત્રણ માસની બાળકીનો મૃતદેહ FSL ની હાજરીમાં બહાર કાઢી પૉસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. મૃતકના વિશેરા મેળવીને શંકાસ્પદ મોતના કેસમાં સત્ય સુધી પહોંચવા Chandkheda Police એ મથામણ શરૂ કરી છે.
શંકાસ્પદ મોતના આરોપ બાદ તપાસ શરૂ થઈ
ઘનશ્યામ ડેરી ખાતેથી લવાયેલા તૈયાર ખીરામાંથી બનાવાયેલા ઢોસા ખાવાથી બે બાળકીઓના મોતના મામલામાં ચાંદખેડા પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ આરંભી છે. ચાંદખેડાના મારૂતિ પ્લાઝામાં રહેતા વિમલ પ્રજાપતિ IOC Road પર આવેલી ઘનશ્યામ ડેરીમાંથી ગત 1 એપ્રિલના રોજ ખીરૂં લાવ્યા હતા. જેમાંથી બનાવાયેલા ઢોસા ખાધા બાદ પરિવારની તબિયત લથડી હતી અને ત્રણ મહિનાની રાહા તથા 4 વર્ષની મિસરીનું મોત થયું હોવાનો પરિવારના સભ્યોએ આરોપ લગાવ્યો હતો. આ મામલે પીઆઈ જે. કે. મકવાણા (PI J K Makwana) એ તપાસ આરંભી પરિવારના સભ્યો, ઘનશ્યામ ડેરીના માલિક તેમજ અન્ય લોકોની પૂછપરછ હાથ ધરી હતી. સાથે સાથે તપાસમાં જરૂરી હોય તેવા કેટલાંક પુરાવા પણ મેળવવામાં આવ્યા છે. મૃતક બાળકીઓના માતા-પિતા વિમલ પ્રજાપતિ અને ભાવના પ્રજાપતિ હાલ ખાનગી હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે.
3 કિલોમાંથી માત્ર 300 ગ્રામ ખીરૂં ઉપયોગમાં લેવાયું
એક એપ્રિલના રોજ લવાયેલા ત્રણ કિલો ખીરામાંથી બે દિવસ ઢોસા બનાવીને પ્રજાપતિ પરિવારે ખાધા હતા. બીજા દિવસે પરિવારના સભ્યોને ઉલ્ટીઓ થતા હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. ખીરૂં ખરીદ્યાના બે દિવસ બાદ પ્રજાપતિ પરિવારે 2700 ગ્રામ ખીરૂં ડેરી માલિક કેતન પટેલને પરત કર્યું હતું.
અંતિમવિધિ થઈ ગઈ હતી
પ્રજાપતિ પરિવારની બે બાળકીઓના શંકાસ્પદ મોત બાદ તેમની અંતિમવિધિ કરી દેવામાં આવી હતી. ત્રણ મહિનાની બાળકી રાહાને દફનાવવામાં આવી હોવાથી તેના મૃતદેહને આજે ચાંદખેડા પોલીસે ફૉરેન્સિક અધિકારીઓની હાજરીમાં બહાર કઢાવી પૉસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. FSL Report બાદ મોતનું સાચું કારણ જાણવા મળી શકશે. આ ઉપરાંત ચાંદખેડા પોલીસે હૉસ્પિટલમાં થયેલી સારવારની માહિતી તેમજ રિપોર્ટ મેળવવા તજવીજ હાથ ધરી છે.








