So-called journalists tortured for extortion in Gujarat : અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિત રાજ્યભરમાં બની બેસેલા પત્રકારોએ તોડબાજીમાં હાહાકાર મચાવ્યો છે. ગુજરાત પોલીસ (Gujarat Police) ના ચોપડે કહેવાતા અનેક પત્રકારો સામે ખંડણી અને ભ્રષ્ટાચારના ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. સાપ્તાહિકના નામે પત્રકાર બની તેમજ RTI કરીને સરકારી કર્મચારી સાથે ગોઠવણ કરી તોડ કરતા પત્રકારો સામે પોલીસે લાલ આંખ કરી છે. Gujarat ACB ના ચોપડે છેલ્લાં 5 દિવસમાં બે કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદનું એક દંપતી અને નવસારીનો એક કહેવાતો પત્રકાર લાંચ કેસમાં ઝડપાઈ ચૂક્યા છે.
એન્ટી કરપ્શન બ્યૂરોની ટીમે ગત 19 ઓગસ્ટના રોજ અમદાવાદના ઓઢવ સોનીની ચાલી ચાર રસ્તા પાસે નવજીવન ક્રાઈમ અધિકાર ન્યૂઝ નામથી છાપું ચલાવતા વિજય ડાહ્યાભાઈ આહીર અને તેમના પત્ની શિલ્પાબહેન 3.15 લાખની લાંચ લેતા ઝડપાયા હતા. પૂર્વ અમદાવાદમાં ગેરકાયદેસર બાંધકામ કરી રહેલા શખસને AMCની નોટિસ મળી હતી. ત્યારબાદ બાંધકામ તોડવી નાંખવાની ધમકી આપી કહેવાતા પત્રકાર વિજય આહીરે AMC ના અધિકારીને 3 લાખ અને પોતાના 25 હજાર એમ કહી 3.25 લાખ રૂપિયા માગ્યા હતા. જે પેટે 10 હજાર અગાઉ ચૂકવી દેવાયા હતા. બાકીની રકમ 3.15 લાખ લેવા આહીર દંપતી આવતા તેમની આણંદ એસીબીના પીઆઈ આર.એન. વિરાણી (PI R N Virani) એ ધરપકડ કરી હતી.
નવસારીમાં રૂદ્ર સંદેશ પ્રેસ નામથી છાપું ચલાવતા સતશંકર રામચરિત્ર મિશ્રા ઉર્ફે મુન્નાભાઈને નવસારી એસીબીની ટીમે 51 હજારની લાંચ લેતા 24 ઓગસ્ટ સોમવારે ઝડપ્યો હતો. કહેવાતા પત્રકાર સતશંકર મિશ્રાએ સરકારી કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાના સમાચાર તેના છાપામાં પ્રકાશિત કર્યા હતા. ત્યારબાદ સતશંકર ઉર્ફે મુન્નાએ સરકારી કામોનું રેકર્ડ તપાસવા RTI Act હેઠળ અરજી કરી હતી. સમાચાર નહીં છાપવા પેટે મુન્નાએ 51 હજારની લાંચ માગતા ફરિયાદીએ એસીબી ટોલ ફ્રી નંબર 1064 પર કોલ કર્યો હતો. આ માહિતીના આધારે ટ્રેપ ગોઠવીને Team ACB એ નવસારી ગ્રીડ ચાર રસ્તા પર આવેલી સરોવર કાઠીયાવાડી હોટેલ ખાતેથી સતશંકર ઉર્ફે મુન્નાની નવસારી એસીબી પીઆઈ એન.બી. સોલંકી (PI N B Solanki)એ ધરપકડ કરી હતી.








