નવજીવન ન્યૂઝ. રાજકોટઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની હજી જાહેરાત થઈ નથી તે પહેલા દાવેદરી માટે આંતરિક જૂથવાદ સામે આવતા નજરે આવી રહ્યા છે. રાજકોટના ગોંડલમાં મોવિયા ગામમાં કડવા પાટીદાર સમાજની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જયરાજસિંહના હરીફ જૂથના અગ્રણી પાટીદાર નેતા જયંતિ ઢોલને પ્રમુખ પદેથી હટાવીને કિશોર અંદિપરાને પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. જયંતિ ઢોલ છેલ્લા બે દાયકાથી કડવા પાટીદાર સમાજના પ્રમુખ પદે હતા. ઉપરાંત આ સભામાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહએ સંબોધનમાં રીબડાના અનિરૂધ્ધસિંહના પુત્ર રાજદીપસિંહ પર પ્રહાર કર્યા હતા.
ગોંડલની વિધાનસભા બેઠક પર આંતરિક જંગ છેલ્લા કેટલાસ સમયથી ચાલી રહ્યો છે. ગોંડલની બેઠકને લઈને બે જૂથ આમને સામને આવી ગયા છે. તાજેતરમાં જ ગોંડલમાં યુદ્ધ એજ કલાયણ ગ્રુપના સન્માનમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહની બાદબાકી કરવામાં આવી હતી. જેમાં પાસના અલ્પેશ કથીરિયા, જયંતી ઢોલ, નરેશ પટેલ સહીતના હાજર રહ્યા હતા. એક તરફ ગોંડલની બેઠક પરથી પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ પોતાના પરિવારના સભ્યને ઉમેદવાર તરીકે પ્રબળ દાવેદારી કરી રહ્યા છે. બીજી બાજુ યુદ્ધએ જ કલ્યાણ ગ્રુપનો ઝુકાવ અનિરૂદ્ધસિંહ જાડેજાની તરફ છે. અનિરૂદ્ધસિંહ જાડેજા પણ પોતાના પરિવારના સભ્યને ટિકિટ મળે તેની હોડમાં લાગ્યા હોય તેવી ચર્ચાઓ ચાલી રહી છે.
કડવા પાટીદાર સમાજની સભા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહએ સંબોધનમાં જણાવ્યું હતું કે, રાજકારણમાં કોઈ કોઈના મિત્ર નથી હોતા અને કોઈ કાયમ દુશ્મન હોતા નથી. તમે ક્યાં બેસો છો તેની તમને ભાન હોવી જોઈએ. હું જયંતી ઢોલની ટીકા કરું છું, અન્ય કોઈનો ટેકો લીધો હોત તો મને વાંધો નથી, પણ આને ખભે બેસાડીને નીકળે તે ખોટી વાત છે. અનિરૂધ્ધસિંહ એમ કહે કે, યાર્ડનું રક્ષણ તો હું કરીશ. તમારે દૂધની ભલામણ કરવી હોય તો બિલાડીને દૂર રાખવી પડે. રીબડામાં જે જતાં હશે તેમને ખબર હશે કે ત્યાં જમીન કેવી રીતે વેચાય છે. રીબડાના અનિરૂધ્ધસિંહના પુત્ર રાજદિપસિંહ તો અત્યારથી જ ધારાસભ્ય બની ગયા છે. ભાજપને ખબર છે કોને ટિકિટ આપવાથી પાર્ટી સારી લાગે અને કોને આપવાથી ઠાઠડી નીકળી જાય તેની તેમને ખબર છે. જેમ દિવસો નજીક આવે છે. ત્યારે હવે ટિકિટ લેવા ગાંધીનગર ન જવાય ત્યાંથી ટિકિટ નીકળી ગઈ છે અને લીંબડી સુધી પહોંચી ગઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત 2017ની વિધાનસભાની ચૂંટણી વખતે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહને હત્યાના કેસમાં ગુજરાતની બહાર રહેવા શરતી જામીન મળ્યા હોવાથી તેમની પત્ની ગીતાબા જાડેજાને ટિકિટ મળી હતી અને તેમનો વિજય થયો હતો. જોકે આ વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ગોંડલની સીટ પરથી કોને ટિકિટ મળશે તે જોવાનું રહ્યું ?