નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલા મુખ્યમંત્રી પદેથી અચાનક હટાવ્યા બાદ કોંગ્રેસ છોડ્યાના લગભગ એક વર્ષ બાદ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહ આજે ભાજપમાં જોડાયા છે. કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજુએ તેમનું ભાજપમાં સ્વાગત કર્યું હતું. આ પહેલા તેઓ બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાને મળ્યા હતા.
80 વર્ષીય અમરિંદર સિંહે પણ તેમની પંજાબ લોક કોંગ્રેસને ભાજપમાં ભેળવી દીધી. તેમણે ગત વર્ષે તેમની પાંચ દાયકાની પાર્ટી કોંગ્રેસમાંથી બહાર નીકળ્યા બાદ તરત જ નવી પાર્ટીની રચના કરી હતી. અમરિંદર સિંહની સાથે સાત પૂર્વ ધારાસભ્યો અને એક પૂર્વ સાંસદ પણ ભાજપમાં જોડાયા છે. પીએલસીએ સુખદેવ સિંહ ધીંડસાના નેતૃત્વમાં ભાજપ અને શિરોમણી અકાલી દળ (યુનાઈટેડ) સાથે ગઠબંધનમાં વિધાનસભા ચૂંટણી લડી હતી. જોકે તેનો કોઈ ઉમેદવાર જીતી શક્યો ન હતો અને સિંહ પોતે પણ તેના ગઢ પટિયાલા સિટી સીટ પરથી હાર્યા હતા.
PLCના પ્રવક્તા પ્રીતપાલ સિંહ બલિયાવાલે અગાઉ કહ્યું હતું કે અરમિન્દર સિંહ સોમવારે દિલ્હીમાં બીજેપીના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં પાર્ટીમાં જોડાશે. કરોડરજ્જુની સર્જરી બાદ તાજેતરમાં લંડનથી પરત ફર્યા બાદ અમરિન્દર સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા. અરમિન્દર સિંહે 12 સપ્ટેમ્બરે શાહ સાથેની તેમની મુલાકાત બાદ કહ્યું હતું કે તેઓ રાષ્ટ્રીય સુરક્ષા, પંજાબમાં ડ્રગ-આતંકવાદના વધતા જતા કેસ અને રાજ્યના સર્વાંગી વિકાસ માટે ભાવી રોડમેપ સાથે સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ખૂબ જ ફળદાયી ચર્ચા કરી હતી. બે વખતના મુખ્યમંત્રી રહી ચૂકેલા અરમિન્દર સિંહ અગાઉના પટિયાલા શાહી પરિવારના વંશજ છે.