Thursday, October 16, 2025
HomeGujaratAhmedabadમુસ્તાકને અંદાજ આવી ગયો કે પોલીસ તેની ગેઈમ કરશે, તે રહીમ સાથે...

મુસ્તાકને અંદાજ આવી ગયો કે પોલીસ તેની ગેઈમ કરશે, તે રહીમ સાથે પાકિસ્તાન ભાગી ગયો

- Advertisement -

પ્રશાંત દયાળ (નાદાન. ભાગ-54): Nadaan Series: ગોપાલ બપોરે લીગલ ઑફિસમાં જ બેઠો હતો. તે કામમાં વ્યસ્ત હતો. જે કેદીઓ રજા લેવાની અરજી કરવા માગતા હતા, ગોપાલ તેમની અરજી લખી આપતો હતો. જેલમાં એવા કેદીઓની મોટી સંખ્યા હતી, જેમને પોતાની સહી કરતા પણ આવડતી નહોતી. લીગલ ઑફિસમાં આવનારા ઘણા કેદીઓનો આગ્રહ રહેતો કે, તેમની અરજી ગોપાલ જ લખી આપે. તેની પાછળનું કારણ એવું હતું કે, ગોપાલ કોઈપણ કેદી પર ગુસ્સે થતો નહોતો.

તે દિવસે એક સિનિયર કેદી લીગલ ઑફિસમાં દાખલ થયો. સિનિયર એટલા માટે લાગી રહ્યો હતો કે, તેના માથાના અને દાઢીના વાળ સંપૂર્ણ સફેદ હતા. ગોપાલે અમદાવાદ જેલમાં આવ્યા પછી આ કેદીને પહેલી વખત જ જોયો હતો. લગભગ સાડા પાંચ ફૂટની ઊંચાઈ, પાતળો બાંધો, સહેજ લાંબી સફેદ દાઢી હતી. તેણે માથા ઉપર ‘બંધી અમલદાર’ લખેલી સફેદ ટોપી પહેરેલી હતી. ટોપીમાંથી તેના સફેદ વાળ ડોકાતા હતા. તેમને જોઈને લાગતું હતું કે, સાંઈઠ વટાવી ગયા હશે.

- Advertisement -

આ કેદીને જોતાં મોટા ભાગના કેદી ઊભા થઈ ગયા. દરેકે તેમને પોતાની ખુરશીમાં બેસવાનો આગ્રહ કર્યો.. એ જોઈને ગોપાલ પણ ઊભો થઈ ગયો. લીગલ ઑફિસના કેદીઓ તેમને ‘રહીમભાઈ’ કહીને સંબોધતા હતા. એક કેદી તરત માટલામાંથી પાણી લઈ આવ્યો. બીજા કેદીએ પૂછ્યું, “રહીમભાઈ, ચા પીશોને?”

રહીમભાઈએ માથા ઉપરથી ટોપી કાઢી અને સફેદવાળમાં હાથ ફેરવતાં કહ્યું, “અરે ભાઈ, બહુત ચાય હો ગઈ.”

પછી તેમણે બધા કેદીઓને જોયા. રહીમભાઈ માટે ગોપાલ નવો ચહેરો હતો. તેમણે ઝીણી આંખ કરીને ગોપાલને જોયો. એ યાદ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા કે, આને ક્યાં જોયો છે? ત્યારે જ એક અવાજ સંભાળયો, “રહીમમિયાં, તમે નથી મળ્યા આ છોકરાને. મહેનત કરશો નહીં.”

- Advertisement -

બધાએ અવાજની દિશામાં જોયું, તો નીતિનકાકા આવ્યા હતા. રહીમભાઈએ પણ પાછળ જોયું. તે નીતિનકાકાને ભેટી પડ્યા. કાકા પોતાની જગ્યાએ જઈને બેઠા. પોતાની ખુરશીની બાજુમાં બીજી એક ખુરશી ખેંચી અને કહ્યું, “આઓ રહીમભાઈ, યહાં બેઠો.”

રહીમભાઈ જઈને કાકાની બાજુની ખુરશીમાં બેઠા. લીગલ ઑફિસનું કામ રહીમભાઈ આવતા થંભી ગયું હતું. બધા રહીમભાઈની વાત સાંભળવામાં મશગુલ હતા. નીતિનકાકા આવ્યા એટલે તરત બે ગ્લાસ પાણી અને બે કપ ચા ટેબલ પર આવી ગઈ. કાકાએ ઇશારો કર્યો અને રહીમભાઈએ કપ ઉપાડ્યો. કાકાએ ચા પીતાં પીતાં પૂછ્યું, “રહીમભાઈ, કૈસે ભુલા પડા?”

નીતિનકાકાનું હિન્દી બહું ખરાબ હતું, પણ કાકા કોઈપણ હિન્દીભાષી આવે એટલે હિન્દીમાં જ બોલાવાનું શરૂ કરે. જે હિન્દી ભાષી હોય, એ વર્ષોથી ગુજરાતમાં રહેતો હોવાને કારણે એક મૂળ ગુજરાતી કરતાં પણ સારું ગુજરાતી બોલે. પણ કાકા તેમની સાથે હિન્દીમાં જ વાત કરે એટલે તેમણે રહીમભાઈને પૂછ્યું, “કૈસે ભુલા પડા?”

- Advertisement -

જોકે રહીમભાઈ કાકાનું હિન્દી સમજી જતા હતા. રહીમભાઈએ પણ તે જ સ્ટાઇલમાં જવાબ આપ્યો, “કાકા, ભુલા નહીં પડા. કામ થા એટલે આયા છું.”

રહીમભાઈ પણ બે–પાંચ ગુજરાતી વાક્ય વચ્ચે એકાદું વાક્ય હિન્દી બોલે; અને તે પણ મિયાંભાઈ સ્ટાઇલમાં. રહીમભાઈએ કહ્યું, “છોકરી કા નિકાહ કરના હૈ. આઈ.જી. સા’બ છુટ્ટી દે, તો જરા થોડે કામ પતા કે આ જાઉં.”

નીતિનકાકાએ પૂછ્યું, “અરજી કિયા?”

રહીમભાઈ બોલ્યા, “અરે કાકા, અરજી કરણે કે વાસ્તે તો આયા હું. મેરા તાલીમ તો ઉર્દૂ મેં હુઆ હૈ. સા’બ ઉર્દૂ સમજે તો ઉર્દુ મેં અરજી લીખતા.”

કાકા સહિત બધા ખડખડાટ હસી પડ્યા. કાકા સમજી ગયા. તેમણે ગોપાલ સામે જોયું. ગોપાલની બાજુમાં એક કેદી અરજી માટે ઊભો હતો. કાકાએ ગોપાલને પૂછ્યું, “આનું શું છે?”

ગોપાલે કહ્યું, “અપીલની અરજી માટે છે.”

કાકાએ પેલા કેદીને છણકા કરતાં કહ્યું, “હમણાં દસ મિનિટ બહાર ઊભો રહે.”

એ ગોપાલને સારું લાગ્યું નહીં. ગોપાલ કંઈ કહે તે પહેલાં પેલો કેદી ઑફિસની બહાર જતો રહ્યો. કાકાએ ગોપાલને કહ્યું, “રહીમભાઈની રજા અરજી લખી આપ.”

ગોપાલે નવો કાગળ લીધો. કાકાએ ગોપાલને રહીમભાઈનો પરિચય આપતાં કહ્યું, “આ આપણી જેલનાં સેન્સર બોર્ડના ‘ચેરમેન’ છે.”

આ સાંભળીને બધા હસી પડ્યા. આ ઓળખાણ સાંભળી ત્યારે તો ગોપાલને ખબર પડી નહીં; પણ પછી લીગલ ઑફિસના એક કેદીએ સમજાવ્યું, “જેલમાં આવતા અને જેલમાંથી જતા; તમામ પત્રો જેલ દ્વારા સેન્સર કરવામાં આવે છે. તેમાં કંઈ વાંધાજનક ન હોય તો જ જેલની બહાર જાય અને અંદર આવી શકે.

જેલમાં અનેક ભાષાના કેદીઓ હોય છે. દરેક ભાષા તો જેલના અધિકારી સમજે એ જરૂરી નથી. એટલે પાકા કામના જે કેદી પોતાની ભાષામાં માસ્ટર હોય, એમને આ પત્ર સેન્સર કરવાની નોકરી આપવામાં આવે છે. જેમાં રહીમભાઈ ઉર્દૂ ભાષાના સારા જાણકાર છે. સાબરમમતી જેલમાં અનેક એવા કેદીઓ છે, જેઓ ઉર્દૂ જ જાણે છે. તેમના પત્રો બારીક નજરે રહીમભાઈ વાંચે છે અને સેન્સર કરે છે.”

જેલમાં પાકિસ્તાની કેદીઓની સંખ્યા પણ થોડીક ખરી. રહીમભાઈ કહેતા કે, એ સાલે પાકિસ્તાની કા કોઈ ભરોસા નહીં. ઉન કા કાગજ–પત્તર ધ્યાન સે પઢના પડતા હૈ. રહીમભાઈ ઉર્દૂ જાણતા હતા, પણ તેમને ગુજરાતી લખતા આવડતું નહોતું. જુવાન કેદીઓ રહીમભાઈને ‘ચાચા’ કહીને સંબોધતા હતા. ચાચા નમાઝના પણ પાબંદ હતા.

ગોપાલે કેદીઓ પાસેથી જાણ્યું કે, રહીમભાઈનો અમદાવાદ શહેરમાં દબદબો હતો. એ ‘મુસ્તાક ગેંગ’ના શાર્પશૂટર હતા. મુંબઈના દાણચોર ગોટી અને મુસ્તાકને દુશ્મની હતી. ગોટી એક કેસમાં અમદાવાદમાં પકડાયો હતો. પોલીસ તેને વડોદરા જેલમાં લઈ જઈ રહી હતી, ત્યારે રહીમભાઈએ જાપ્તા ઉપર ગોળીબાર કર્યો હતો અને ગોટીને પાડી દેવા અસંખ્ય ગોળીઓ ચલાવી હતી. જેમાં પોલીસને પણ ગોળી વાગી હતી. પરંતુ ગોટી તેમાં બચી ગયો હતો.

રહીમભાઈ એ ઘટનાને યાદ કરે ત્યારે અચૂક કહેતા કે, “જિંદગી ઔર મોત વોહી તય કરતા હૈ. ગોટી કી કીસ્મત મે જિંદગી થી, ઈસ લીય વો બચ ગયા.”

મુસ્તાકની ગેંગની તાકાત જ્યારે એક હદ કરતાં વધી ગઈ ત્યારે પોલીસને લાગ્યું કે નાક ઉપરથી પાણી જઈ રહ્યું છે. મુસ્તાકને પણ અંદાજ તો આવી જ ગયો હતો કે, પોલીસ એની ગેઇમ કરી નાખશે એટલે તે રહીમ સાથે પાકિસ્તાન જતો રહ્યો હતો. પાકિસ્તાનમાં મુસ્તાક અને રહીમ સલામત હતા, પણ તેમનું મન તો અમદાવાદ માટે તરસી રહ્યું હતું. બે વર્ષ પાકિસ્તાન રહ્યા પછી તેઓ ભારત પાછા ફર્યા અને દિલ્હીમાં પકડાઈ ગયા. બસ, એ દિવસથી રહીમભાઈ અમદાવાદ જેલમાં હતા. જેલમાં આવ્યા પછી મુસ્તાકનું શૈતાન મન ફરી ક્રાઇમની દુનિયામાં દોડવા લાગ્યું. એક દિવસ પોલીસે મુસ્તાકને તપાસના બહાને બહાર કાઢીને ઠોકી દીધો અને એન્કાઉન્ટરની સ્ટોરી બનાવી દીધી. મુસ્તાકની આખી ગેંગ લગભગ છેલ્લા 25 વર્ષથી જેલમાં છે.

રહીમભાઈના જોલમાં આવ્યા પછી તેમની બીવી શેહમીનાએ પરિવાર સંભાળી લીધો. બંને દીકરીઓને સારી સ્કૂલમાં ભણાવીને મોટી કરી. રહીમભાઈ જેલમાંથી અનેક વખત રજા ઉપર બહાર જતા. લોકો હજી પણ તેમને ડોન કહેતા. એ વાત તેમને અંદરથી ખૂબ ખટકતી હતી. તેમનું મન તો કહેતું હતું કે, જો ભાઈ બનવાનો વિચાર ન આવ્યો હોત, તો આજે તે પણ સામાન્ય લોકોની જેમ જ જિંદગી જીવતા હોત.

ગોપાલે રહીમભાઈની રજા અરજી લખી આપી અને તેમની સહી લીધી. રહીમભાઈએ ગોપાલને પૂછ્યું, “ક્યા નામ હૈ બેટા?”

તેણે કહ્યું, “ગોપાલ.”

રહીમભાઈએ કહ્યું, “અરે, કયા બાત હૈ! ભગવાન કૃષ્ણ ખુદ હમારે સામને આયે!”

ઊભા થતી વખતે તેમણે ગોપાલનાં માથા પર હાથ મૂકીને કહ્યું, “અલ્લાહ તાલા જલદી તુજે યહાં સે બહાર નિકાલેંગે.”

જતી વખતે એકલા એકલા એવું પણ બબડ્યા, “હમારા તો યહાં સે જનાજા હી નિકલેગા…!”

(ક્રમશ:)

PART 53 : સવારે ગોપાલ જ્યારે ગાંધી ખોલીમાં ગયો તો તેની પવિત્રતા સ્પર્શી ગઈ, લાગ્યું જાણે તીર્થસ્થાનમાં આવ્યો છે

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
Prashant Dayal
Prashant Dayal
પ્રશાંત દયાળ, ગુજરાતી પત્રકારત્વનું એવું નામ જેણે પત્રકારત્વની દુનિયાની તડકી છાંયડી જોઈ આજે પણ સતત કાર્યરત રહી સાચું પત્રકારત્વ લોકો સુધી પહોંચે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એક ક્રાઈમ રિપોર્ટર તરીકેની તેમની સફર ગુજરાતી પત્રકારત્વમાં ઘણા બોધપાઠ આપનારી રહી છે. તેઓ હાલ રિપોર્ટિંગની સાથે સાથે, નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડિપ્લોમા ઈન જર્નાલિઝમમાં અને સાબરમતી જેલમાં પત્રકારત્વના પાઠ પણ ભણાવે છે.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular