નવજીવન ન્યૂઝ. મુંબઈઃ મુંબઈ પોલીસના ટ્રાફિક કંટ્રોલને ધમકીભર્યો મેસેજ મળ્યો છે. મેસેજમાં 26/11 જેવા હુમલાનું પુનરાવર્તન કરવાની વાત કરવામાં આવી છે. મુંબઈ ટ્રાફિક પોલીસના વોટ્સએપ પર પાકિસ્તાની નંબર પરથી મેસેજ આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, જો તમે તેનું લોકેશન ટ્રેસ કરશો તો તે ભારતની બહાર જ બતાવશે, પરંતુ બ્લાસ્ટ મુંબઈમાં થશે.
આ ધમકીભર્યા મેસેજમાં હુમલાની સંપૂર્ણ યોજના જણાવવામાં આવી છે. મેસેજમાં લખવામાં આવ્યું છે કે 6 લોકો મળીને આ હુમલો કરશે. મુંબઈ પોલીસને ધમકીનો મેજેસ મળતા મુંબઈ પોલીસ એલર્ટમાં આવીને તપાસ શરૂ કરી છે, સાથે જ અન્ય તપાસ એજન્સીઓ પણ તેની તપાસ કરી રહી છે. ટ્રાફિક પોલીસ કંટ્રોલના નંબર પર પાકિસ્તાનના નંબર પરથી મેસેજ આવ્યો હતો. જેમાં લખ્યું છે, ‘જી મુબારક હો, મુંબઈમાં હુમલો થવાનો છે. આ હુમલો 26/11ની નવી યાદ અપાવશે. આ મેસેજમાં 7 મોબાઈલ નંબર પણ શેર કરવામાં આવ્યા છે અને વધુમાં લખવામાં આવ્યું છે કે મુંબઈને ઉડાવી દેવાની તૈયારી કરવામાં આવી રહી છે.
મેસેજમાં લખ્યું છે કે, આ કામમાં કેટલાક ભારતીયો મારી સાથે છે. આમાંથી કેટલાક નામો મેસેજમાં પણ શેર કરવામાં આવ્યા છે. મેસેજમાં લખ્યું છે કે જો લોકેશન ટ્રેસ કરવાની કોશિશ કરશો તો તે બહારનું દેખાડશે, અમારા લોકોનું કોઈ ઠેકાણું નથી, પરંતુ હુમલો મુંબઈમાં થશે. આ સાથે ઉદયપુરના કન્હૈયાલાલ મર્ડરનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, ઉદયપુર જેવો સર તન સે જુદા વાળો કાંડ પણ થઈ શકે છે. ઉલેખ્ખનીય છે કે, તાજેતરમાં જ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં દરિયા કિનારે એક શંકાસ્પદ બોટમાંથી 3 AK-47 ગન અને 500થી વધુ કારતુસ મળી આવ્યા હતા. જેને લઈને ખળભળાટ મચી ગયો હતો.








