Thursday, April 30, 2026
HomeBusinessસુસ્મિતા સેન સાથે રિલેશનશિપની જાહેરાત કરનાર લલિત મોદી, એકલા દમ પર IPLને...

સુસ્મિતા સેન સાથે રિલેશનશિપની જાહેરાત કરનાર લલિત મોદી, એકલા દમ પર IPLને ઊભી કરી હતી, વિવાદોના કિંગ

- Advertisement -

નવજીવન ન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ ઇન્ડિયન પ્રીમિયર લીગના પૂર્વ ચેરમેન લલિત મોદી ફરી એક વખત ચર્ચામાં છે. લલિત મોદીના એક ટ્વીટે દરેકને ચોકાવી દીધા છે. લલિત મોદીએ બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેન સાથેની કેટલીક તસવીરો ટ્વીટ કરી છે અને જાહેરાત કરી છે કે બન્ને એક બીજાને ડેટ કરી રહ્યા છે.

લલિત મોદી અવાર નવાર દરેક કોઇને પોતાના અંદાજથી ચોકાવી દે છે. આઇપીએલના ફાઉન્ડર લલિત મોદી હંમેશા ચર્ચામાં રહે છે પછી તે રાજસ્થાન ક્રિકેટ એસોસિએશનમાં તેમની એન્ટ્રી હોય કે પછી એકલા દમ પર આઇપીએલને ઉભી કરવાનું હોય. 56 વર્ષના લલિત મોદી આ સમયે લંડનમાં છે અને લાંબા સમયથી ત્યા જ રહે છે. આઇપીએલમાં થયેલા વિવાદ બાદથી તે ભારત છોડી ગયા છે, તેમની પાછળ કેટલીક એજન્સી લાગેલી હતી પરંતુ તે બાદ તે ભારત પરત ફર્યા નથી.

- Advertisement -

વર્ષ 2007માં જ્યારે ટી-20 વર્લ્ડકપને કારણે ભારતમાં ટી-20 ક્રિકેટની પોપ્યુલારિટી પોતાના ચરમ પર હતી તે દરમિયાન લલિત મોદી ઇન્ડિયન પ્રીમિયર લીગને લોન્ચ કરવાની તૈયારીમાં લાગેલા હતા. લલિત મોદીએ એકલા જ આ આઇડિયાને બીસીસીઆઇ સામે મુક્યો હતો અને એકલા દમ પર તેને લોન્ચ પણ કર્યો હતો.

2007માં જ્યારે આઇપીએલને લઇને જાહેરાત કરવામાં આવી, આ પહેલા બીસીસીઆઇમાં લલિત મોદી વિરોધી જૂથના કેટલાક એવા સભ્ય હતા જે ઇચ્છતા હતા કે આ પ્રોજેક્ટ ફેલ થઇ જાય અથવા આ રીતના પ્રોજેક્ટનું સમર્થન જ કરતા નહતા. લલિત મોદી માટે સૌથી મોટી મુશ્કેલી હતી કે ફ્રેન્ચાઇઝીને કેવી રીતે મનાવવામાં આવે, કારણ કે અહી પૈસા આપીને માત્ર ટીમ જ મળી રહી હતી કોઇ પ્રોપર્ટી મળતી નહતી. આ સિવાય ખેલાડીઓના વેચાણને લઇને પણ વિવાદ થયો હતો કારણ કે ભારતમાં કેટલાક ખેલાડીઓને ભગવાન માનવામાં આવતા હતા એવામાં તેમનું વેચાવુ કોઇને પસંદ પડ્યુ નહતુ.

લલિત મોદીની આગેવાનીમાં 2008 અને 2009ની આઇપીએલ સારી થઇ હતી અને સુપરહિટ સાબિત થઇ હતી પરંતુ આઇપીએલ 2010 બાદ વસ્તુ બદલાઇ ગઇ કારણ કે તે સમયે બે નવી ટીમની એન્ટ્રી આઇપીએલમાં થઇ હતી. કોચ્ચી અને પૂણેની ટીમને આઇપીએલમાં લાવવામાં આવી હતી, જેમાં કોચ્ચીની ટીમ જે રીતે ખરીદવામાં આવી અને ટેન્ડરમાં ગડબડ જોવા મળી તેને લઇને વિવાદ થયો હતો.

- Advertisement -

આઇપીએલ 2010 બાદ લલિત મોદી પર તેમના પદનો ફાયદો ઉઠાવવા, હરાજીમાં ગડબડ, આઇપીએલ સાથે જોડાયેલા ટેન્ડરમાં ગડબડનો આરોપ લાગ્યો હતો. બીસીસીઆઇની આંતરીક તપાસ બાદ લલિત મોદીને બોર્ડમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા, તેમણે બીસીસીઆઇમાં પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જ્યારે આઇપીએલમાં ગડબડની વાત સામે આવી હતી તે બાદ ઇડીએ તપાસ શરૂ કરી હતી પરંતુ આ વચ્ચે લલિત મોદી ભારત છોડીને લંડન જતા રહ્યા હતા.

(અહેવાલ નવજીવન ન્યૂઝે સંપાદિત કર્યો નથીઃ ઈનપુટ ન્યૂઝ રિચ પરથી છે)

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular