નવજીવન ન્યૂઝ.ગાંધીનગરઃ લઠ્ઠાકાંડ પછી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પહેલી વખત મીડિયા સામે આવીને સવાલોના જવાબો આપ્યા હતા. દરમિયાન હર્ષ સંઘવીએ કહ્યું કે, કુલ મૃતકાંક 42 થયો છે, જેમાં 32 બોટાદ અને અમદાવાદના 10 લોકોનો સમાવશે થાય છે તથા 97 લોકો સારવાર હેઠળ છે. 1500 પોલીસ જવાનોએ દિવસ રાત મહેનત કરી ખેતરો ખૂંદીને અસરગ્રસ્તોને શોધી કાઢ્યા હતા. તેમણે આ અંગે રાજનીતિ ન કરવાની પણ વિપક્ષને સલાહ આપી હતી.
તેમણે કહ્યું કે, 600 લી કેમિકલ અલગ અલગ જિલ્લાઓમાં વેચાયું હતું. ફરિયાદ દાખલ થઈ છે અને હવે દસ દિવસમાં ચાર્જશીટ ફાઈલ કરાશે. એસઆઈટીના રિપોર્ટ પ્રમાણે દોષિતો સામે પગલા લેવાશે. દરેક ગામડાઓમાં પોલીસ કડક પગલા લેશે. દારુ સમાજનું સૌથી મોટું દુષણ છે. કેમિકલ વાળું પાણી પીતા લોકોને અસર થઈ છે. દુઃખદ ઘટનામાં રાજનીતિ કરવી તે સારો વિષય નથી. જે પાર્ટીઓ હાલ રાજનીતિ કરે છે તે તેમનો ભૂતકાળ તપાસી લે.
તેમણે કહ્યું કે, તંત્ર દ્વારા અસરગ્રસ્તો માટે તાત્કાલીક સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે. પીડિતોના પરિવારને ન્યાય મળશે. દેશી દારુની ભઠ્ઠીઓ પોલીસે બંધ કરાવી હતી. દેશી દારુ ન મળતા કેમિકલ વાળુ પાણી લોકોને અપાયું હતું. પોલીસે ગામડાઓમાં અડ્ડાઓ બંધ કરાવ્યા છે. આ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલશે. તેમણે એવું પણ કહ્યું કે ઘણા લોકો કહે છે કે આ લઠ્ઠો છે, કેમિકલ છે, અમે લઠ્ઠો છે કે કેમિકલ તેમાં પડવા માગતા નથી. અમે કોઈ બાબતે હાથ ઊંચા કરી લેવા માગતા નથી. અમે આ વિષયમાં કામગીરી કરવા માગીએ છીએ, આ લઠ્ઠો છે કે કેમિકલ અમે તેમાં પડવા માગતા નથી. આની અંદર પગલા લેવાની જવાબદારી અમારી છે અને ગુજરાત પોલીસ સક્ષમ છે અને ઝડપથી ન્યાય મળશે તેવી વ્યવસ્થા પોલીસ દ્વારા કરવામાં આવશે તેની હું ખાતરી આપું છું.
ઉલ્લેખનીય છે કે, લઠ્ઠાકાંડમાં પોલીસે 3 આરોપીઓને કોર્ટમાં હાજર કર્યાં હતા. પોલીસે આરોપી ગજીબેન, પીન્ટુ, રસિક ગોરાહવાને કોર્ટમાં હાજર કર્યા અને તેમના 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.








