નવજીવન ન્યૂઝ. સુરત: સુરતમાં એક છેતરપિંડીની ઘટના સામે આવે છે જેમાં એક ઠગે નારિયેળના વ્યાપારીને છેતરીને નકલી સોનું આપીને ત્રણ લાખ રૂપિયા લઈને ફરાર થઈ ગયો હતો. ગુજરાતીમાં એક કહેવત છે કે ‘લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખ્યા ન મરે’ અહિયાં આ કહેવત સાર્થક થતી હોય તેવું લાગે છે. જો કે આ કેસમાં સુરત પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને વ્યાપારીના ત્રણ લાખ રૂપિયા પણ રિકવર કરી લેવામાં આવ્યા છે.
આ ઘટનાની પ્રાથમિક જાણકારી મુજબ, નારિયેળના હોલસેલ વેપારી આનંદ ઠાકોર ગત 18 જૂનના રોજ સુદામા ચોક નજીક રમેશ યાદવ નામના એક વ્યક્તિ પાસે પોતાના નારિયેળના પૈસા લેવા ગયા હતા. તે સમયે ત્યાં બે વ્યક્તિઓ હતા, જેમણે ખોદકામ દરમિયાન તેમને સોનું મળી આવ્યું છે તેવું કહીને આનંદ ઠાકોરને સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપી હતી. જેના માટે આ ઠગોએ પહેલા વ્યાપારીને સોનાના અસલી દાણા આપ્યા હતા ને તેને વિશ્વાસમાં લીધો હતો.
જ્યારે ઠગોએ વ્યાપારીનો વિશ્વાસ કેળવી લીધો ત્યાર બાદ તેમણે અંદાજિત 15 લાખની કિંમતની સોનાના દાણા વાળી 8 માળાઓ વ્યાપારીને 3 લાખમાં આપી હતી. વ્યાપારીએ જ્યારે આ સોનાના મણકા વાળી માળાની ચકાસણી કરવી તો તે ખોટી નીકળી હતી, ત્યાર બાદ જ્યારે વ્યાપારીએ ઠગોને સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો તો તેમનો મોબાઈલ પણ બંધ હતો. જેના કારણે વ્યાપારીએ આખરે છેતરપિંડીની પોલીસ ફરિયાદ કરી હતી.
આનંદ ઠાકોરની ફરિયાદ મુજબ સુરતની અમરોલી પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જેમાં તપાસ દરમ્યાન આ કેસમાં પોલીસે કલ્પનાનગર સોસાયટી, નિલગીરી ગોડાદરા ખાતે રહેતા આરોપી મોહન ગંગારામ પટેલને ઝડપી પાડ્યો હતો અને ઠગાઇની તમામ 3 લાખની રકમ રિકવર કરી હતી.








