નવજીવન ન્યૂઝ. જેતપુર: ગુજરાતમાં રસ્તા ઉપર રખડતાં ઢોરની સમસ્યા હવે દિવસેને દિવસે વધી રહી છે. જેના કારણે ઘણી વાર રાહદારીઓને ઇજાગ્રસ્ત થવાના પણ કિસ્સા સામે આવતા હોય છે ઘણા કિસ્સામાં તો કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યો છે, જેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. ત્યારે આવો એક વધુ વીડિયો જેતપુરના બજારમાંથી વાયરલ થયો છે. જેમાં જાહેર રસ્તા ઉપર બે આખલા ઝગડી પડ્યા હતા જેના કારણે રાહદારીઓ જોખમમાં મુકાયા હતા.
ઘટનાની પ્રાથમિક જાણકારી મુજબ, આ ઘટના જેતપુરના નવાગઢ વિસ્તારની છે. જેમાં નવાગઢ રોડ પર બે આખલા વચ્ચે યુધ્ધ છેડાતા રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ જોખમમાં મુકાયા હતા. આ ઘટના તાલુકા પંચાયતથી નજીક થઈ હતી અને સ્થાનિક લોકોએ આખલાને છુટા પાડવા માટે પ્રયાસો કરવા પડ્યા હતા.
અવાર-નવાર રસ્તે રખડતા ઢોરના ત્રાસથી લોકો ઈજાગ્રસ્ત થાય છે કે મૃત્યુ પામ્યા હોય તેવા અહેવાલો ગુજરાતમાં સામે આવે છે, ત્યારે સ્થાનિક તંત્રએ પણ આ મામલે કાર્યવાહી કરવી જોઈએ, પરંતુ તંત્ર દ્વારા રખડતા ઢોર મામલે કોઈ નક્કર પગલા લઈ પરિણામ આવ્યું હોય તેવું જણાતું નથી. આ સ્થિતીમાં નિર્દોષ નાગરિકને જીવ ગુમાવવો પડે તો જવાદાર કોણે તેવો સવાલ સામાન્ય નાગરિકો ઉઠાવી રહ્યાં છે.








