નવજીવન ન્યૂઝ. જુનાગઢ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ દરેક સરકારી વિભાગોના કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નોને લઈને માગ કરી રહ્યા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે ગુજરાતનાં વનવિભાગના કર્મચારીઓએ પણ હવે ગ્રેડ પેમાં વધારાની માગ કરી છે, જેના પગલે તેઓ છેલ્લા કેટલાક દિવસોથી હડતાળ કરી રહ્યા છે, પરંતુ આ કર્મચારીઓની હડતાલના કારણે જંગલોની સુરક્ષા ઉપર સવાલ ઊભા થાય તેમ છે જેના કારણે આ પ્રશ્નનું નિરાકરણ ન આવે ત્યાં સુધી જનગલોની સુરક્ષા હવે SRPને સોંપવામાં આવી છે.
સમગ્ર એશિયામાં ગીરનું જંગલ એક માત્ર એવી જગ્યા છે જ્યાં સિંહ જોવા મળે છે. આમ તો સિંહને જંગલનો રાજા કહેવાય છે, પણ ગુજરાતમાં આ સિંહોનું રક્ષણ કરવાનું કામ વનવિભાગનું છે. હવે જ્યારે વનવિભાગના કર્મચારીઓ હડતાળ કરી રહ્યા છે ત્યારે સિંહોના રક્ષણ ઉપરાંત જંગલના રક્ષણ ઉપર પણ સવાલો ઊભા થયા છે, જેના કારણે હવે તાત્કાલિક જંગલો અને સિંહોના રક્ષણની જવાબદારી SRPને સોંપી દેવમાં આવી છે.
મળતી માહિ મુજબ, વન વિભાગના વનપાલ, વનરક્ષક સહિતના કર્મચારીઓ ગ્રેડ પે, રજા પગાર તેમજ પોલીસને અપાતા લાભો વનવિભાગના કર્મચારીઓને મળે તેવી માંગણીઓ સાથે હડતાળ પર ઉતર્યા છે. તેમાં જુનાગઢ જીલ્લાના વનકર્મચારીઓ પણ આ હડતાળમાં જોડાયા છે. જેના કારણે જંગલ સુરક્ષાનું કામ હવે SRPને સોંપવામાં આવ્યું છે.
ગાંધીનગરથી SRPની બે ટીમ મોકલવામાં આવી છે જે અમરેલી અને જુનાગઢના વનવિભાગની કામગીરી કરશે. અમરેલી અને જુનાગઢના જંગલ વિસ્તારની સંવેદનશીલ બોર્ડર વિસ્તારોમાં SRP જવાનો તેનાત રહેશે અને ફોરેસ્ટના અધિકારીઓ સાથે રહીને વનવિભાગની કામગીરી કરશે. વનવિભાગના અધિકારીના જણાવ્યા મુજબ, “રેવન્યુ વિસ્તારથી લઇ જંગલના વિસ્તારોમાં રહી વનકર્મીઓની ફરજ SRPના જવાનો અદા કરશે. SRP ની બે ટીમો વનવિભાગ અને ગાંધીનગરના સંકલનમાં રહીને પોતાની ફરજ બજાવશે.”
સરકાર દ્વારા વનવિભાગના કર્મચારીઓના પ્રશ્નોનું સુખદ નિરાકરણ લાવવાની જગ્યાએ જંગલો સાચવવા માટે SRP સ્ટાફ ફાળવવા માટે લેટર ઈસ્યુ કરવામાં આવ્યો છે. સિંહ જંગલ માંથી બહાર આવે ,કોઈ જાનહાનિ થાય ,કુવામાં દીપડો પડી જાય, આવી બધી ઘટનાઓ માટે SRP જવાનોને ટ્રેનિંગ મળી નથી જેથી વનવિભાગના કર્મચારીઓના પ્રશ્નોનું જલદી નિરાકરણ આવે તે જરૂરી છે.








