નવજીવન ન્યૂઝ. ભરૂચ: સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે, જેમાં સમાચારો કરતા પણ વધારે તો અફવાઓ ઓડિયો, વીડિઓ અને મેસેજ મારફતે સોશિયલ મીડિયામાં ફરતી થાય છે. જેનું પરિણામ નિર્દોષ લોકોને ભોગવવાનો વારો આવે છે. મહત્વનુ છે કે, બે દિવસ પહેલાં જ બાળકો ચોરતી ટોળકીની શંકાના આધારે લોકોમાં મારામારી થઈ હતી, જેનો ભોગ લોકોને બચાવવા ગયેલા પોલીસ કર્મચારી પણ બન્યા. જેમાં કેસમાં સંડોવાયેલા સામે કાયદાકીય પગલાં પણ લેવાયા. વધુમાં ભરુચના SP એ આવી અફવા ફેલાવનારા સામે લાલ આંખ કરી છે.
શું છે બચ્ચાં ચોર ગેંગની અફવા?
ભરૂચમાં છેલ્લાં કેટલાક દિવસોથી બાળકો ચોરતી ટોળકી સક્રિય થઈ છે તેવી અફવા સોશિયલ મીડિયામાં ફેલાઈ છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્યમાં ટોળકીઓ ફરી રહી છે જે બાળકોનું અપહરણ કરી રહી છે. આ મેસેજના કારણે ગંભીર વાતાવરણ સર્જાયુ છે. બાળકોની સલામતી માટે વાલીઓમાં ચિંતા ફેલાઈ છે. લોકોમાં આ અફવા માનસિક રીતે એવી તો ઘર કરી ગઈ છે કે, છેલ્લાં બે દિવસમાં બચ્ચા ચોર ગેંગની શંકા રાખીને મારામારીની ઘટનાઓ ઘટી.
ઘટનામાં 29 સામે રાયોટિંગનો ગુનો દાખલ
ઉલ્લેખનીય છે કે, ભરૂચના બી ડિવિઝન વિસ્તાર સ્થિત APMC માર્કેટ પાસે પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી. 26 સપ્ટેમ્બરે સાંજના સુમારે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસને APMC નજીક બાળકોનું અપહરણ કરતી ગેંગ સ્થાનિકોએ પકડી હોવાનો મેસેજ મળ્યો હતો, પરંતુ પોલીસ ઘટના સ્થળે પહોંચે એ પહેલા જ ટોળાએ બે મહિલાઓને ઢોર માર માર્યો. જેને સારવાર આપવાની ફરજ પડી. મહિલાની પૂછપરછમાં આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ કરાઈ હોવાની કોઈ હકીકત પ્રાથમિક તપાસમાં સામે આવી ન હતી. તો બીજા કેસમાં આવી શંકાના આધારે મારપીટ થઈ રહી હતી તેને બચાવવા લોકોનું ટોળુ એટલુ ઉશ્કેરાયેલુ હતુ કે, પોલીસને પણ માર ખાવાનો વારો આવ્યો. ત્યારે આ ઘટના પ્રત્યે કડક વલણ દાખવીને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પહેલી ઘટનામાં 3 પુરુષ અને 5 મહિલા તેમજ બીજા કેસમાં 21 એમ કુલ મળીને 29 સામે રાયોટિંગનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસ બની સતર્ક
આ ઘટનાઓને લઈને ભરૂચ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર ઉત્સવ બારોટે સોશિયલ મીડિયા દ્વારા લોકોને વાયરલ વિડિયો દ્વારા ફેલાઈ રહેલી અફવાઓથી સાવધાન રહેવા અને કાયદો હાથમાં ન લેવા અપીલ કરી હતી. તો જિલ્લા પોલીસને તાત્કાલિક એલર્ટ કરી અફવાથી પ્રેરાઈ ટોળું નિર્દોષોને માર ન મારે તે બાબતે SP ડો. લીના પાટીલે પણ કડકાઈ દાખવી છે અને પોતાનું નિવેદન આપ્યુ છે.
શું છે SP ડો. લીના પાટીલની ચેતવણી?
ફેલાતી અફવાને કારણે જે પેનિક ઉભુ થયુ તેને લઈ ભરૂચના SP ડો. લીના પાટીલે ચેતવણી જાહેર કરી આવી ઘટનાઓ પ્રત્યે પૂરતું ધ્યાન આપવા અને જરૂરી પગલાં ભરવા આદેશ આપ્યા છે. તેમણે જણાવ્યુ કે, આ પ્રકારના ગુનામાં પોલીસ બિલકુલ ટોલરેટ કરવાના નથી. ઉપરાંત કોઈપણ શંકાસ્પદ કે સંદિગ્ધ ગતિવિધિ દેખાઈ તો લોકોને ભરુચ પોલીસના સિનિયર અધિકારીનો, કંટ્રોલ રુમનો તાત્કાલિક સંપર્ક કરવા તાકીદ કરી છે. શંકાના આધારે કાયદો હાથમા લઈને નિર્દોશને માર મારવાની ઘટનાને તેમણે વખોડી હતી. અને આવી ઘટનાના વિરોધમાં ગુના દાખલ કરીને સખતમાં સખત પગલાં લેવા જણાવ્યુ છે. વધુમાં જુઓ આ વીડિઓ…








