નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદ શહેરમાં આજથી ઘણી શાળાઓમાં વર્ષની પ્રથમ પરીક્ષાઓ શરૂ થઈ છે, ત્યારે અમદાવાદનાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક શાળાના પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને ફી ન ભરેલી હોવાને કારણે પરીક્ષામાં બેસવાની ના પડી હતી. આ વાતની જાણ વિદ્યાર્થીઓના વાલીઓને થતાં મોટી સંખ્યામાં વાલીઓ શાળામાં દોડી આવ્યા હતા અને હોબાળો કર્યો હતો. ત્યાર બાદ વાલીઓ અને પોલીસ દ્વારા સમજાવ્યા બાદ પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે મંજૂરી આપી હતી.
પ્રાથમિક માહિતી મુજબ વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી માધવ વિદ્યા સંકૂલમાં આજે સવારે 8 વાગે પરીક્ષા શરૂ થવાની હતી, તે દરમિયાન જ્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા પહોંચ્યા ત્યારે કેટલાક વિદ્યાર્થીઓને ફી ભરવાની બાકી હતી. આવા વિદ્યાર્થીઓને પરીક્ષા ન આપવા શાળાના પ્રિન્સિપાલ જયંતી પટેલે સૂચન કર્યું હતું. આ વાતની જાણ વાલીઓને થતાં જ તેઓ શાળાએ દોડી આવ્યા હતા.
આ સમગ્ર ઘટના અંગે વિદ્યાર્થીઓના વાલીઓ જણાવે છે કે, “આશરે 100 જેટલા વિદ્યાર્થીઓને પ્રિન્સિપાલે પરીક્ષામાં બેસવા દીધા ન હતા. જેના કારણે અમે બાદમાં પોલીસને જાણ કરી હતી, ત્યાર બાદ પોલીસ આવી હતી અને ફી ભરવા બાબતે સમજાવટ બાદ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાની મંજૂરી આપવામાં આવી હતી.”
આ નાગે પ્રિન્સિપાલ જયંતી પટેલ જણાવે છે કે, “વિદ્યાર્થીઓને 20 દિવસ પહેલા જ જાણ કરવામાં આવી હતી કે જે વિદ્યાર્થીઓની ફી ભરવાની બાકી હોય તેમણે પરીક્ષા પહેલા જૂન, જુલાઇ અને ઓગસ્ટ મહિનાની ફી ભરી દેજો નહીં તો પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે.”
પોલીસ અને વાલીઓની રજૂઆત બાદ પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાની મંજૂરી આપી હતી. જોકે કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષામાં ન બેસવા દેવામાં આવતા ઘરે પરત ફરી ગયા હતા તેઓની પરીક્ષા પાછળથી લેવામાં આવશે.








