હિરલ ઠક્કર (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): ગુજરાતમાં મહામારીના સમયે સરકાર માણસોની દેખરેખ રાખવામાં નિષ્ફળ રહી હતી, ત્યાર બાદ હવે ગુજરાતમાં લમ્પી વાયરસે એન્ટ્રી લીધી જેમાં સરકારની નિષ્ફળતાને કારણે અનેક પશુઓના ટપોટપ મોત થયાં હતા. મહામારીના સમયે જેમ કેસ અને મૃત્યુના આંકડા છુપાવવામાં આવ્યા હતા, તેવા જ સરકારના લુલાં બચાવ ગૌવંશમાં ફેલાયેલા લમ્પી વાયરસમાં પણ જોવા મળ્યાં. આજે પણ લમ્પી વાયરસના કીડામાં બિચારા મુક પશુધન પીડાઈ રહ્યાં છે. ત્યારે સરકારની નિષ્ફળતાને પડકારવા માટે અમદાવાદનું યુવાધન પશુધન માટે દેવદુત બન્યુ છે અને લમ્પી વાયરસથી અસરગ્રસ્ત પશુઓની અનોખી સારવાર કરી રહ્યા છે.
‘સન ઓફ મહાદેવ’ નામના ગ્રુપના 20 યુવકોએ હળદર, ઘી, બાજરી, ગોળ, કાળા મરી, વરિયાળીથી આયુર્વેદિક 3000 લાડું બનાવ્યા છે, આ સાથે જ વાયરસથી થયેલા ઘા માટે સ્પ્રે, વાયરસ અને બીમારી માટે દવા સહિતની સામગ્રી લઈને બનાસકાંઠાના અલગ અલગ ગામ-વિસ્તારમાં પહોંચ્યા છે. તેઓ જાતે જ ગાયોને દવા આપીને તેમના ઘા પર સ્પ્રે તથા ઇન્જેક્શન લગાવી રહ્યા છે.
ત્યારે ગ્રુપના સભ્ય અજય સોનીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “અમે મહમારીના સમયથી અબોલા પશુઓ માટે કામ કરી રહ્યા છીએ. અમે પશુઓના ડોક્ટરની સલાહ લઈને આયુર્વેદિક લાડુ અને દવા લઈને બનાસકાંઠા અને રાજસ્થાનની સરહદના કેટલાંક ગામમાં જઈને અમારી બનતી મદદ કરી રહ્યાં છીએ.” આ ઉપરાંત તેમણે પશુધનની સારવાર આપીને ગયા બાદ પોતાની બીજી ટીમને સેવા માટે મોકલવાની બાહેંધરી પણ આપી હતી.








