નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ રજા ઉપર જતાં સિનિયોરિટીના આધારે અજય ચૌધરીને અમદાવાદ કમિશનરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. જોકે તેમણે કમિશનરનો ચાર્જ સાંભળ્યા બાદ તેમના વિષે ઘણા અહેવાલો સામે આવી ચૂક્યા છે, પરંતુ એક IPS અધિકારી પોતાના તાબાના કર્મચારીઓ માટે સારી કામગીરી કેવી રીતે કરી શકે તે અજય ચૌધરીએ કરી બતાવ્યું છે. તેમની કામગીરીના કારણે ASI, હેડ કોન્સટેબલ અને કોન્સટેબલ તરીકે ફરજ બજાવતા કર્મચારીઓમાં સંતોષ જોવા મળી રહ્યો છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ઇન્ચાર્જ કમિશનર અજય ચૌધરીએ અમદાવાદના દરેક પોલીસ સ્ટેશનમાં 7 વર્ષ કે તેનાથી વધુ સમય માટે કામ કરતાં ASI, હેડ કોન્સટેબલ, કોન્સ્ટેબલના અને લોક રક્ષકોનું લિસ્ટ મગાવ્યું છે અને જે પોલીસ સ્ટેશન આ લિસ્ટ નહીં મોકલાવે તે પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ સામે કાર્યવાહી કરવામાં આવશે. સૂત્રો દ્વારા તેવું પણ જણાવવામાં આવ્યું હતું કે લાંબા સમયથી બદલી ન થયેલા કર્મચારીઓની બદલી કરવા માટે આ લિસ્ટ મગાવ્યું હોય શકે છે. ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી એક જ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓ હવે બદલી થવાની શક્યતા જોઈ રહ્યા છે.
આ ઉપરાંત તેવી પણ જાણકારી મળી છે કે ઇન્ચાર્જ પોલીસ કમિશનર અજય ચૌધરીએ અમદાવાદમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીઓને મળવા બોલાવી હતી અને તેમની સમસ્યા અંગે વાતચીત કરી હતી. તે દરમિયાન કેટલીક મહિલા પોલીસકર્મી રજૂઆત કરી હતી કે તેમણે બદલી કરાવવી છે. ત્યાર બાદ તાજેતરમાં અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતી 9 જેટલી મહિલા પોલીસ કર્મચારીઓની બદલી પણ કરવામાં આવી છે.








