જય અમીન (નવજીવન ન્યૂઝ.મોડાસા): મોડાસાની ચાણક્ય સ્કૂલમાં વિદ્યાર્થીઓને ઢોર માર મારવા માલે હવે વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગ સતર્ક થયું છે. અરવલ્લી જિલ્લા શિક્ષણ વિભાગે ચાણક્ય સ્કૂલને નોટિસ ફટકારી શાળાની માન્યતા કેમ રદ્દ ન કરવી તે અંગે ખુલાસો માંગ્યો છે. અરવલ્લી જિલ્લા શિક્ષણ વિભાગે ચાણક્ય સ્કૂલને ગુજરાત ગ્રાન્ટ એડ ઇન કોડ 1964ની કલમ 8નો ભંગ થયેલ જણાય છે તો આપની શાળાની માન્યતા કેમ ન ખેંચવી તે અંગે ખુલાસો માંગ્યો છે. શિક્ષણ વિભાગે ખુલાસો માંગતા શાળાની સોશિયલ મીડિયા પર વહેતી કરેલી ખોટી વાતો માત્ર વાતો જ રહી ગઇ હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે.
ચાણક્ય સ્કૂલના વિદ્યાર્થીઓને ઢોર મારનાર શિક્ષકનને બચાવવા કેટલાક લોકો પોતાના સ્વાર્થ માટે ઢાંકપીછોડો કરી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. વિદ્યાર્થીઓની વેદનાને વાચા આપવાના બદલે સમર્થનમાં ઉતરેલા કેટલાક કહેવાતા શૈક્ષણિક અગ્રણીઓ સામે લોકોમાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે. વિદ્યાર્થીઓને શરીરે ઉઝરડા પડી જાય અને ભૂતકાળમાં આ શિક્ષકનો રોષનો ભોગ બનેલા વિદ્યાર્થીને સીટી સ્કેન કરવવાની જરૂર પડી હોય તેમ છતાં આ પ્રકરણ પર પડદો પાડવા મેદાને પડેલા કહેવાતા અગ્રણીઓ સામે લોકોમાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે.
અરવલ્લી જીલ્લા કલેકટર ર્ડો.નરેન્દ્ર મીણા: શૈક્ષણિક સંકુલમાં બનતી ઘટનાને સાંખી ન લેવાય
ચાણક્ય વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને ઢોર માર મારવાની ઘટનાએ સમગ્ર અરવલ્લી જિલ્લાના શિક્ષણ વિભાગમાં ચકચાર મચાવી દીધી છે, આ વચ્ચે અરવલ્લી જિલ્લા કલેક્ટર ડો. નરેન્દ્રકુમાર મીણાએ ચાણક્ય વિદ્યાલયમાં અભયાસ કરતા વિદ્યાર્થીઓને ઢોર માર મારવા અંગે તેમણે જણાવ્યું હતું કે, બાળકો પર થતાં અત્યાચાર અને ખાસ કરીને શૈક્ષણિક સંકુલમાં બનતી આ પ્રકારની ઘટનાને ક્યારેય સાખી ન લેવાય. આ અંગે શિક્ષણ વિભાગને જરૂરી સૂચના આપી દેવામાં આવી છે અને કડક કાર્યવાહી પણ જરૂરથી કરવામાં આવશે.
જિલ્લા શિક્ષણાધિકારી ગાયત્રી બેન પટેલના જણાવ્યા અનુસાર
મોડાસાની ચાણક્ય વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને તાલીબાની સજા આપનાર શાળા અને શિક્ષક અંગે પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે સ્કૂલને નોટિસ આપવામાં આવી છે અને આ ઘટના અંગે ખુલાસો માંગવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ પર થયેલા અત્યાચાર કોઈ પણ સંજોગમાં સાંખી નહીં લેવાય અને સ્કૂલ યોગ્ય ખુલાસો આપવામાં નિષ્ફ્ળ રહેશે તો સ્કૂલની માન્યતા રદ કરવા માટે કાર્યવાહી કરવામાં આવશે તેમ ભાર પૂર્વક જણાવ્યું હતું.
બાળ સુરક્ષા એકમની ટીમ એ શાળાના આચાર્યનું નિવેદન નોંધ્યું
ચાણક્ય સ્કૂલમાં બાળકોને માર મારવાની ઘટનાને લઇને અરવલ્લી જિલ્લા બાળ સુરક્ષા એકમની ટીમ દ્વારા શાળાની મુલાકાત કરવામાં આવી છે. બાળ સુરક્ષા એકમની ટીમ દ્વારા શાળાના આચાર્ય પીનલ પટેલનું નિવેદન લેવામાં આવ્યું હતું. બાળ સુરક્ષા એકમની ટીમને તેમણે જણાવ્યું હતું કે, બાળકોની વર્તણૂંક તોફાની હતી અને ગૃહકાર્ય નહોતા લાવતા. નિવેદનમાં એમ પણ જણાવ્યું હતું કે, આ બાબતે વાલીઓ સાથે તેમણે મીટિંગ પણ કરી હતી. ત્યારે સવાલ એ થાય છે કે, શું બાળકો તોફાની હોય તો શિક્ષકોએ પણ આ જ રીતે વર્તણૂંક કરવી તે યોગ્ય છે?
અરવલ્લી જિલ્લો એ શિક્ષણની નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વચ્ચે ચાણક્ય વિદ્યાલયમાં બાળકોને માર-મારવાની ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી દીધી હતી. તેમાંય એક કે બે નહીં પણ ભોગ બનનાર વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, પચાસ જેટલા વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો હતો, જેમાંથી ચાર જેટલા વિદ્યાર્થીઓએ મીડિયા સમક્ષ પોતાની આપવીતી જણાવી હતી. ઘટના મીડિયામાં આવતા જ શાળા સંચાલક રજા પર ઉતરી ગયા હતા અને સ્કૂલને બદનામ કરવામાં આવતી હોવાની સોશિયલ મીડિયા પર કેટલીક પોસ્ટ વાઈરલ કરવામાં આવી હતી. જોકે બાળ સુરક્ષા એકમ અને શિક્ષણ વિભાગની પ્રાથમિક તપાસમાં ઘટના બની હોવાનું જ સામે આવ્યું હોય તેવું લાગે છે. એટલું જ નહીં મીડિયામાં જે વીડિયો દર્શાવાયા હતા તે સામાન્ય વ્હાલ અથવા તો બાળકોને સમજાવવાના નિશાન તો ન હોઇ શકે ને? તો આ નિશાન કેવી રીતે આવ્યા તે પણ એક મોટો પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે.








