નવજીવન ન્યૂઝ.અમદાવાદ: ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા જ ગુજરાત બાજપમાં સંગ્રામ જેવો માહોલ બની ગયો છે અને તેનો વિષય છે અનામત, ભાજપના નેતા અલ્પેશ ઠાકોર ઓબીસી અનામત અને ઓબીસી સમાજના પ્રતિનિધિત્વની વાત સાથે ચૂંટણી પંચ સામે માગણીઓ મુકી રહ્યા છે ત્યારે ભાજપના નેતા વરુણ પટેલ દ્વારા આ ચૂંટણીમાં Economically Weaker Sections (EWS)ને પણ દસ ટકા અનામત મળવી જોઈએ તેવી માગ કરી છે. આવા ઘણા ભાજપના નેતાઓ છે જેમના આ મામલે મત જુદા પડી રહ્યા છે, જોકે આ મામલે કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓમાં પણ મત મતાંતર જોવા મળી રહ્યા છે.
ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે આ અંગે અનામતની માગણી કરતા કહ્યું કે, આ વહીવટી બેદરકારી રહી ગઈ છે, તેને સુધારી શકાય. આ વિસંગતાઓ અને સંવિધાનીક અધિકાર દબાવવા માટે જે પ્રયત્ન થયો છે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા, તેઓ આ ચૂંટણી તાત્કાલીક રદ્દ કરે અને દસ ટકા નહીં એ વસ્તીનું માપદંડ નક્કી કરે, સર્વે કરે, રોટેશન પદ્ધતિની વાત થાય અને પછી દસ ટકા નહીં પણ 27 ટકા અનામત મળી છે, એસ સી એસટીને 7 અને 17 ટકા અનામત મળી છે તેના આધારે જ તેમને પ્રતિનિધિત્વની તક મળે છે તેવી જ રીતે બક્ષીપંચને પણ 27 ટકા અનામતની તક મળે તેવી અમારી માગણી છે.
તેના જવાબમાં ભાજપના જ નેતા વરુણ પટેલે કહ્યું કે, પ્રિય મિત્ર અલ્પેશ ઠાકોરે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ચૂંટણી પંચ દ્વારા ઓબીસીને અન્યાય થાય એવી બેદરકારી થઈ હોવાનું કહ્યું, મને ખબર નથી બંધારણીય રીતે શું જોગવાઈ છે. જો તમે એસસી એસટી અને ઓબીસીને પંચાયતની ચૂંટણીમાં અનામત આપતા હોવ તો ઈડબલ્યૂએસ પણ પછાત વર્ગ છે. તેને પણ દસ ટકા અનામત આપો.
પ્રિય મિત્ર શ્રી @AlpeshThakor_ જીએ ગ્રામ પંચાયત ની ચૂંટણી માં @CEOGujarat દ્વારા #OBC ને અન્યાય થાય એવી બેદરકારી થઈ એવું કહ્યું, મને ખબર નથી બંધારણીય રીતે શું જોગવાઈ છે ? હવે જો તમે SC. ST. OBC. ને પંચાયત ની ચૂંટણી માં અનામત આપતા હોવ તો EWS પણ પછાતવર્ગ છે એને પણ ૧૦% અનામત આપો🙏
— Varun Patel (@varunpateloffic) July 6, 2022
ઉલ્લેખનીય છે કે આ મામલે હાલમાં જ ઉનાના ધારાસભ્ય પૂંજા વંશ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખવામાં આવ્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, ચૂંટણીપંચ દ્વારા કલેક્ટરને આપવામાં આવેલા પત્ર પ્રમાણે દસ ટકા ઓબીસી અનામત નહીં રહે. 2021માં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશે ઓબીસી અનામતના અમલમાં સુપ્રીમમાં અરજી કરી હતી. કોર્ટે તમામ રાજ્યોને સમિતિ રજીને વસ્તીના માપદંડને આધારે નક્કી કરવાનો આદેશ કર્યો હતો પણ છ મહિના પછી રાજ્ય સરકારે કોઈ કાર્યવાહી કરી નથી. 3252 ગ્રામ પંચાયતમાં દસ ટકા અનામતનો લાભ નહીં મળે. સ્થાનીક સ્વરાજમાંથી ઓબીસીનું પ્રતિનિધિત્વ દૂર થઈ જશે. જે મામલે મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પણ કહ્યું હતું કે ચૂંટણી પંચ પોતાની રીતે નિર્ણય લઈ શકે છે. નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવેલા નિર્ણયનું પાલન કરાયું છે.








