Bhavnagar ST Depo murder case: ભાવનગરના એસટી બસ સ્ટેન્ડ પર જાહેરમાં મહિલાની હત્યાની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. આરોપ છે કે, ફૈઝલ ઉર્ફે ખાટકી નામના શખ્સે તેની સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી કાજલબેન બારૈયા પર જીવલેણ હુમલો કરી હત્યા કરી નાખી હતી. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, જાહેર સ્થળે લગભગ 7 મિનિટ સુધી હુમલો ચાલતો રહ્યો હોવા છતાં આસપાસ હાજર લોકો માત્ર મૂકદર્શક બનીને જોતા રહ્યા હતા.
મળતી માહિતી મુજબ, કાજલબેન બારૈયા અને ફૈઝલ ઉર્ફે ખાટકી લાંબા સમયથી મૈત્રી કરાર હેઠળ સાથે રહેતા હતા. છેલ્લા કેટલાક સમયથી બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હોવાનું સામે આવ્યું છે. આ જ સંબંધનો કરૂણ અંજામ ભાવનગરના એસટી બસ સ્ટેન્ડ પર આવ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે.
ઘટનાના CCTV દૃશ્યોમાં સમગ્ર હુમલો કેદ થયો હોવાનું સામે આવ્યું છે. એસટી બસ સ્ટેન્ડ જેવા વ્યસ્ત જાહેર સ્થળે મહિલાને લાંબા સમય સુધી જીવલેણ હુમલો કરવામાં આવ્યો અને આખરે તેણીનું મોત નીપજ્યું. ઘટનાની ક્રૂરતા જેટલી ચોંકાવનારી છે, તેટલી જ ગંભીર બાબત એ પણ છે કે, હુમલા દરમિયાન કોઈ વ્યક્તિ મહિલાને બચાવવા આગળ ન આવ્યું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.
ભાવનગર એસટી ડેપોમાં રોજ મોટી સંખ્યામાં મુસાફરોની અવરજવર રહે છે. આવા જાહેર સ્થળે આટલો લાંબો સમય જીવલેણ હુમલો ચાલતો રહ્યો હોવા છતાં તાત્કાલિક બચાવ કેમ ન થયો તે અંગે હવે ગંભીર સવાલો ઊભા થયા છે. ઘટનાએ એસટી ડેપોની સુરક્ષા વ્યવસ્થા સામે પણ પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે.
ઘટના બાદ પોલીસ અને સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ ચર્ચા શરૂ થઈ છે. વ્યસ્ત બસ સ્ટેન્ડ પર મહિલાની જાહેરમાં હત્યા થઈ જાય અને લોકો માત્ર જોતા રહે, તે ઘટના માત્ર કાયદો અને વ્યવસ્થાનો મુદ્દો નથી પરંતુ સમાજની માનવીય સંવેદના સામે પણ ગંભીર સવાલ ઉભો કરે છે.
મહિલા પર જાહેરમાં હુમલો થતો રહ્યો ત્યારે આસપાસના લોકો કેમ મદદે ન આવ્યા? શું ભયના કારણે લોકો દૂર રહ્યા કે પછી સમાજમાં સંવેદનશીલતા ઘટી રહી છે? આ ઘટનાએ આવા અનેક સવાલો ઉભા કર્યા છે.








