નવજીવન ન્યૂઝ.ભાવનગરઃ સીજીએસટીના અધિકારીઓ અને કર્મચારીઓ પર બુધવારે ભાવનગરમાં થયેલા હુમલા પછી ગુજરાતભરમાંથી બોગસ બિલિંગના રેકેટ ચલાવનારા કુખ્યાત લોકો પર ઘાત ઊભી થઈ ગઈ છે. કારણ આ હુમલામાં આવા કુખ્યાતોની સંડોવણી હોવાની બાબત સામે આવતા સહુ પર હવે સરકારી તંત્ર કાર્યવાહીના બાણ ચલાવે તો નવાઈ નહીં.
પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદના સીજીએસટીના અધિકારીઓ પર માધવ કોપર લિ.ના નિલેશ પટેલ, સિહોરમાં ગોપાલ રોલિંગ મિલના ગોપાલ દ્વારા હુમલો કરાયો હતો. જે પછી કોઈ પણ કાળે આરોપીઓને સજા સહિત અન્ય મળતિયાઓ પણ હાથમાંથી છટકી ન જાય તેની સંપૂર્ણ તકેદારી રહેશે. કારણ નવાપરાના મહેક ફ્લેટ ખાતે બોગસ બિલિંગ કરનારા શખ્સોએ કરેલા અધિકારીઓના હુમલા મામલે એએસપીએ તમામ ફ્લેટના રહીશોના નિવેદન નોંધવાનો પણ આદેશ કરી દીધો હતો. આ તરફ હુમલા પછી જે જે આરોપીઓ ગુનામાં સંડોવાયેલા છે તે આરોપીઓને ઝડપવાના પણ ઉચ્ચસત્તામંડળ તરફથી આદેશ છે. અહીં મળેલી વિવિધ કાર શક્તિસિંહ અને તોફિક હાલારીના નામે નોંધાયેલી હોવાનું સામે આવ્યું છે. ગુરુવારે સાંજે પણ ભાવનગર પોલીસ સાથે સીજીએસટીના અધિકારીઓએ વલી હાલારી, તોફિકના ઘરે કાર્યવાહી કરતાં સીસીટીવીના ફૂટેજ ચેક કર્યા હતા. ટુંકમાં આ કાર્યવાહી હજુ વધુ કડકાઈથી આગળ વધશે તેવું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.








