નવજીવન ન્યૂઝ.બનાસકાંઠાઃ બનાસકાંઠામાં સામુહિક આત્મહત્યાનો બનાવ બનતા ચકચાર મચી ગઈ છે. અહીં એક માતાએ પોતાના ત્રણ બાળકો સાથે કેનાલમાં પડતુ મુક્યું છે. પ્રારંભીક તબક્કે આ ઘટનામાં પારિવારિક કંકાસ હોવાનું માનવામાં આવી રહ્યું છે. પોલીસે ઘટનાની વધુ કાર્યવાહી હાથ ધરી છે.
થરાદ તાલુકામાં સણધર ગામ ખાતે નર્મદાની મુખ્ય કેનાલમાં ત્રણ બાળકો સાથે મહિલાએ ઝંપલાવ્યું છે. આ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ અને તરવૈયા સુલતાન મીર પણ મૃતકોને શોધવા કેનાલમાં પડ્યા હતા. જોકે આ લખાય છે ત્યાં સુધી બે બાળકોના મૃતદેહ મળી આવ્યા છે જ્યારે એક બાળક અને માતાની લાશ મળી આવી નથી. જેને કારણે તેમની શોધખોળ કેનાલમાં વધુ સમય સુધી ચાલી રહી છે. આ ઘટનાને પગલે લોકોના ટોળા કેનાલ પાસે દોડી આવ્યા હતા. પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી છે.
[આત્મહત્યા ક્યારેય કોઈ બાબતનું સમાધાન નથી. જો તમારે મદદની જરૂર છે અથવા આપ એવા કોઈ વ્યક્તિને ઓળખો છો કે જેમને આવા કોઈ સંજોગોના કારણે મદદની જરૂર છે, તો તેવા સમયે નજીકના માનસિક સ્વાસ્થ્ય કેન્દ્ર પર જાઓ અથવા હેલ્પલાઈન નંબર- AASRA: 91-22-275-46-669 (24 કલાક ઉપલબ્ધ), Icall- 91-915-298-7821 (સોમવારથી શનિવાર સુધી સવારે 8થી રાત્રે 10 વાગ્યા સુધી ઉપલબ્ધ), NGO- 1800-209-4353 (બપોરે 12 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ઉપલબ્ધ)]