Friday, March 29, 2024
HomeGeneralજે યુવાનો ઉપર ઘરના સભ્યો ભરોસો મુકતા ન્હોતા તેમની ઉપર અમદાવાદ પોલીસે...

જે યુવાનો ઉપર ઘરના સભ્યો ભરોસો મુકતા ન્હોતા તેમની ઉપર અમદાવાદ પોલીસે ભરોસો મુકયો

- Advertisement -

પ્રશાંત દયાળ(નવજીવન ન્યૂઝ. અમદાવાદ): આપણે ત્યાં સૌનું તે કોઈનું હોતુ નથી આપણે કહીએ છીએ લોકો દ્વારા લોકો માટે ચાલતી સરકાર, પણ આમ માણસ કયારેય સરકારને અને સરકારી બાબતોને પોતાની માનતો નથી કારણ તેને શાસન દ્વારા તેવો અહેસાસ અપાવવામાં આવતો નથી, જેના કારણે સરકારના કોઈ પણ નિર્ણય અને પ્રક્રિયામાં જનભાગીદારી થતી નથી. અમદાવાદની રથયાત્રા તેનું ઉત્તમ ઉદાહરણ છે. અમદાવાદમાં દર વર્ષે નિકળતી રથયાત્રાની સાથે બે લાખ લોકો જોડાય છે અને દસ લાખ કરતા વધુ અમદાવાદીઓ યાત્રાના દર્શન કરવા માર્ગો ઉપર ઉતરી આવે છે. અમદાવાદની રથયાત્રાનો ઈતિહાસ રકતરંજીત રહ્યો છે. છેલ્લાં વીસ વર્ષથી રથયાત્રામાં ભલે કોઈ હિંસક ઘટના ઘટી નથી છતાં પોલીસનો જીવ પડીકે બંધાયેલો હોય છે. પચ્ચીસ હજાર કરતા વધુ પોલીસ અને અર્ધ લશ્કરી દળો રસ્તા ઉપર તૈનાત હોવા છતાં યાત્રા મંદિરમાંથી નિકળે અને મંદિર પરત ફરે ત્યાં સુધી અમદાવાદમાં ફરજ બજાવતા નાના પોલીસ કર્મચારીથી લઈ પોલીસ કમિશનર સુધી બધાની માનસિક સ્થિતિમાં તનાવ સરખો હોય છે.

આ વર્ષે સ્થિતિ વધારે નાજુક હતી. કાશીની મસ્જીદમાં શીવ મંદિર મળવા સહિત નુપુર શર્માની વિવાદીત ટિપ્પણીને કારણે મન ડોહળાઈ ગયા હતા. વાતાવરણમાં એક પ્રકારનો ઉચાટ બધા જ અનુભવી રહ્યા હતા. તેવા વખતે રથયાત્રા નિકળે ત્યારે સ્વભાવીક રીતે પોલીસના મનમાં ઉચાટ હતો કે કઈક થશે તો નહીં. બીજી તરફ ટેકનોલોજી સાથે અપગ્રેડ થયેલી પોલીસની એક સમસ્યા એવી હતી કે આધુનિક યુગની પોલીસ પાસે બાતમીદારનું નેટવર્ક છે તે લગભગ સમાપ્ત થવાના આરે છે. જુની પોલીસ પાસે ટેકનોલોજી ન્હોતી એટલે તેમના આંખ કાન બાતમીદારો હતા. હવે નવી પોલીસને ટેકનોલોજીનો કૈફ છે. રથયાત્રા વખતે પોલીસ અધિકારીઓ માટે મહત્વનું હતું કે લોકોના મનમાં શુ ચાલી રહ્યુ છે તેના આધારે બંદોબસ્ત ગોઠવવાનો હતો. અમદાવાદમાં નુપુર શર્માના મુદ્દે બંન્ને તરફથી દેખાવો થયા હતા. આપણી તમામ સરકારી વ્યવસ્થા મશીનની જેમ કામ કરતી હોય છે. પાછળના વર્ષોમાં આપણે તે કર્યુ તેની કોપી પેસ્ટ કરવાની હોય છે આવુ રથયાત્રામાં પણ બંદોબસ્ત કોપી પેસ્ટ થાય છે.

- Advertisement -

ગુજરાતના તમામ પોલીસ સ્ટેશનમાં એક શાંતિ સમિતિ પણ છે. જેમાં સ્થાનિક વિસ્તારના નામી અનામી લોકોને સ્થાન આપવામાં આવે છે. આ પ્રકારના પ્રસંગમાં પોલીસ અધિકારી શાંતિ સમિતિના સભ્યોને બોલાવી પોતાના વિસ્તારમાં શાંતિ જળવાય તે માટે મદદ કરવા વિનંતી કરે છે. આવુ આ વખતે પણ થયુ, પરંતુ અમદાવાદના એક ડેપ્યુટી પોલીસ કમિશનર જયદિપસિંહ જાડેજાના ધ્યાનમાં આવ્યુ કે શાંતિ સમિતિના જે સભ્યો છે તેઓ હવે પોતાની ઉંમરનો એક પડાવ પાર કરી ચુકયા છે. બીજી તરફ વિસ્તારમાં વીસથી પચ્ચીસ વર્ષના યુવાનો યુવતીઓની સંખ્યા વધી છે, જેઓ હવે નિર્ણાયક છે પણ આપણે તેમનો ઉપયોગ કરતા નથી. જેઓ શાંતિ સમિતિના સભ્યો તેમનો સંપર્ક અને નાતો આ યુવાનો સાથે નથી. જેના કારણે પોતાના તાબાના વિસ્તારની મનોસ્થિતિ શુ છે તેની કોઈ જાણકારી પોલીસને આગોતરી મળતી નથી કોઈ ઘટના ઘટે ત્યારે કુવો ખોદવા જેવી સ્થિતિ નિર્માણ થાય છે.

શાંતિ સમિતિ ભલે પોતાનું કામ કરે પણ હવે પોલીસની કામગીરીમાં યુવાનોને ભાગીદાર બનાવવા જોઈએ. ડીસીપી જયદિપસિંહ જાડેજા અમદાવાદના શાહપુર અને કારંજ વિસ્તાર જયાં બહુમતી મુસ્લિમ વસ્તી છે, આ વિસ્તારથી વાકેફ રહેવા માટે તેમણે હિન્દુ મુસ્લિમ યુવકોને એકઠા કરી તેમની યુથ કમિટી બનાવી તેમને પોલીસના કામમાં સામેલ કર્યા. યુવાનો માટે આ પહેલો પ્રસંગ હતો કે તેમની ઉપર કોઈએ ભરોસો મુકવાનો પ્રયત્ન કર્યો હતો. આ હિન્દુ મુસ્લિમ યુવક યુવતીઓને ઓળખ માટે ખાસ ડ્રેસ આપ્યો તેમને ઓળખપત્ર આપ્યા. આમ તેમની પણ પોતાના મહોલ્લા અને વિસ્તારમાં એક નવી ઓળખ ઉભી થઈ. રથયાત્રા પહેલા સ્થાનિકની માનસિકદશા શુ છે, મનમાં કેવી ગડમથલ ચાલી રહી છે તે જાણવા માટે આ યુવાનો કારગર સાબીત થયા કારણ તેઓ માહિતીનો સીધો અને પ્રથમ સ્ત્રોત બન્યા જે પોલીસ સ્ટેશનમાં જતા અથવા પોલીસને મળતા પણ ડર લાગે તે યુવાનો સિનિયર પોલીસ અધિકારીઓ સાથે સીધા વાત કરતા થયા તેના કારણે તેમની અંદર એક આત્મવિશ્વાસનો પણ સંચાર થયો.

જયારે રથયાત્રા શાહપુર અને કારંજ વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે યાત્રાની સલામતીની ચીંતા અને વ્યવસ્થા આ હિન્દુ મુસ્લિમ યુવકો કરી રહ્યા હતા. આ પહેલો પ્રસંગ હતો જયાં હિન્દુ મુસ્લિમ યુવક યુવતીઓ સાથે કામ કર્યુ. આ યુવકને ઘરમાં ભલે કોઈ જવાબદારી સોંપતુ ન હોય પણ અમદાવાદ પોલીસે તેમની ઉપર ભરોસો મુકી ભગવાનની સલામતીની જવાબદારી તેમને સોંપી, યાત્રા શાંતિપુર્ણ રીતે પુરી થઈ કદાચ હવે આગામી વર્ષ સુધી પોલીસને આ યુવાનોની અને આ યુવાનોને પોલીસના સંપર્કની જરૂર નહીં પડે પણ પાંચ સો યુવક યુવતીના જીવનમાં પોલીસનો આ પ્રયોગ એક વળાંક જરૂર લાવશે. હવે તેમને પોલીસ સ્ટેશન જતાં ડર નહીં લાગે તેની સાથે દુનિયાની કોઈ મોટી ધટનાનો તેઓ સામનો કરી શકશે તેની તેમને ખબર પડી. આ પોલીસ અને આ સરકાર માટે હું મહત્વનો છું તેવુ તેમને ભાન થયુ છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular