નવજીવન ન્યૂઝ. જુનાગઢ: ગુજરાતમાં ચોમાસાના સિઝનની શરૂઆત થઈ ચૂકી છે. તંત્ર દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. તેવામાં સૌરાષ્ટ્ર પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી અનરાધાર વરસાદ વધી રહ્યો છે. જુનાગઢમાં એક તરફ અનરાધાર વરસાદ વરસી રહ્યો હતો ત્યારે રસ્તા પર પડેલા ખાડાના કારણે ભારે ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હતા. આ સમય દરમિયાન જુનાગઢના DySP પ્રદીપસિંહ જાડેજા પસાર થયા હતા. લોકોની સમસ્યા જોઈને તેમણે એવું કામ કરી દીધું કે ટ્રાફિકમાં ફસાયેલા લોકોની મુશ્કેલી દૂર થઈ ગઈ.
પોલીસ સમક્ષ રોજબરોજ એવી પરિસ્થિતી આવીને ઊભી રહી જાય છે કે પોતાની ફરજનો ભાગ નથી હોતો પરંતુ સામન્ય જનતાની મુશ્કેલી જોઈને મદદ કરવા દોડી આવતા હોય છે. આવું જ કઈક જુનાગઢમાં સામે આવ્યું છે, જુનાગઢમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો હતો. આ દરમિયાન વૈભવ ફાટક પાસે રેલવે ક્રોસિંગ પાસે ખાડાઓ પડી જતા નાના મોટા વાહનો મુશ્કેલીમાં મુકાયા હતા અને ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હતા. આ સ્થળે ફરજ પર હજાર પોલીસ કર્મી ટ્રાફિકને દૂર કરવાનો પ્રયન્ત કરી રહ્યા હતા પરંતુ ખાડાઓના કારણે ટ્રાફિક દૂર થઈ રહ્યો ન હતો.
આ સમય દરમિયાન જુનાગઢના DySP જાડેજા ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. ટ્રાફિકમાં ફસાયેલા લોકોની મુશ્કેલી જોઈને ચાલુ વરસાદમાં DySP જાડેજા કમાન્ડો સાથે નીચે ઉતારી ગયા અને રોડ પર સર્જાયેલા ટ્રાફિકને દૂર કરવા માટેની કાર્યવાહી હાથ ધરી. DySP જાડેજાએ જૂનાગઢ રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાધા મોરી અને તેમના સ્ટાફ સાથે સંકલન કરી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન અને ટ્રાફિક પોલીસના સ્ટાફને હાજર રાખીને રસ્તા પર પડેલા ખાડાને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી. ઉપરાંત આ અંગેની જાણ રેલવે પ્રસાશનમાં કરવામાં આવી. ચાલુ વરસાદમાં રેલવે વિભાગના માણસો દ્વારા ખાડો બુરાવીને વાહન ચાલકોને પડી રહેલી તકલીફનો અંત લાવ્યા હતા. રસ્તા પરથી ટ્રાફિક દૂર થતાં વાહન ચાલકોએ રાહત અનુભવી હતી.