જયંત દાફડા (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): અમદાવાદના એક પોલીસ મથક વિસ્તારમાં એક ચોરે જ્યાં નોકરી કરતો હતો ત્યાં જ કાર, એક્ટીવા, લોકર સહિત લાખોની મત્તા ચોરી કરી લીધી, જોકે પોલીસની મદદથી જ્યારે ચોર પકડાયો અને પોતાની મત્તા પાછી મળી ત્યારે ફરિયાદ કરનારને થયું કે આ એક નાની દીકરીનો પિતા છે, ઘરની મોટી જવાબદારીઓ તેના પર છે, મારે મોટું મન રાખી તેને માફ કરવો જોઈએ અને આખરે મામલો ત્યાંથી જ પુરો થયો અને કાર્યવાહી આગળ વધી નહીં. અમદાવાદના પોશ વિસ્તારમાં આવેલા એક પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ દાખલ થઈ, પોલીસ છેક રાજસ્થાન ગઈ આરોપી અને ચોરી કરેલા મુદ્દામાલ લઈને આવી પણ પછી જે બન્યું તે ચોંકાવનારું હતું, આ ચોરને બાદમાં કાર્યવાહી વગર મુકી દેવાનું અને મામલો આગળ ન વધારવાનું ફરિયાદીએ નક્કી કર્યું અને પોતાનો સામાન લઈ રવાના થયા.
વધુ વિગત જોઈએ તો અમદાવાદના એસ જી હાઈ વે પર એક પોલીસ સ્ટેશન આવેલું છે અને તે પોલીસ સ્ટેશન એક પ્રમાણિક અને કડક અધિકારીની છાપ ધરાવતા ડી સી પીના કાર્યક્ષેત્રમાં આવે છે જેમણે થોડા સમયમા જ જુહાપુરા વિસ્તારમા ભૂમાફિયા અને માથાભારે ઈસમોને વિસ્તાર છોડાવી દિધો છે. આ અધિકારીની સુપરવિઝન હેઠળના એક પોલીસ સ્ટેશનમાં થોડા દિવસ પહેલા એક ચોરીની ફરિયાદ દાખલ થઈ હતી. આ ફરિયાદમાં મનીષભાઈ (નામ બદલેલ છે)એ એમના ઘરના નોકર ઉપર શંકા વ્યક્ત કરી હતી. નોકરે મનીષભાઈના ઘરેથી એક એલઇડી ટીવી ચોરી કરી હતી અને એક મોનીટરને આગ લગાડી દીધી છે એવી ફરિયાદ દાખલ થઈ હતી. બીજા દિવસે મનીષભાઈની ઉપરના ફ્લેટમાં રહેતા ગિરીશભાઈ (નામ બદલેલ છે) પોલીસ સ્ટેશન આવી જાહેર કર્યું કે એમની હોન્ડા સીટી ગાડી, એક લોકર, એકટીવા પણ ચોરી થયું છે અને એ પણ એ જ નોકર ચોરી કરી ગયો છે. જેથી મોટી ચોરી થયેલી હોવાને કારણે પોલીસ હરકતમાં આવી તાબડતોબ રાજસ્થાન પહોંચી અને આરોપીને પકડી લીધો અને એની પાસેથી તમામ ચોરી થયેલો મુદ્દામાલ પણ જપ્ત કર્યો. અહિયા પોલીસની કામગીરી વખાણવા લાયક કહેવાય.
આ તરફ પોલીસ જેને પકડી લાવી તે પોતાના જ ત્યાં બે વર્ષથી કામ કરતો હોવાને કારણે ગિરીશભાઈને તેના પરિવાર અને તેની આર્થિક સ્થિતિની જાણ હતી. તેણે જ આવું કર્યું હોવાથી તેઓના મનના કોઈક ખુણે તેના માટે સહાનુભુતિ પણ હતી. આ તરફ ચોરે ગિરીશભાઈની માફી માગી અને કહ્યું સાહેબ સ્થિતિ એવી હોવાને કારણે ભુલમાં હું લલચાઈ ગયો અને આવું પગલું ભર્યું છે, શક્ય હોય તો મને માફ કરજો. ગિરીશભાઈને ખબર હતી કે તે એક નાનકડી દીકરીનો પિતા છે, તે રાજસ્થાનના ગરીબ પરિવારનો છે અને તેના પરિવારની ખાસ એવી આવક નથી અને જો તે જેલમાં જશે તો તેના પરિવાર માટે સર્વાઈવ કરવું અત્યંત પીડાદાયક બનશે. તે આ સંદર્ભમાં વિચારી રહ્યા હતા ત્યારે આ ઘટનાની તપાસ કરતા મહિલા પીએસઆઈએ પણ વ્યક્તિની સમજાવટ કરી અને મુદ્દામાલ પરત મળ્યા પછી કાર્યવાહી ન કરવાની સમજાવટ કરતાં ફરિયાદી પોતે પણ તેમાં સહમત થઈ મુદ્દામાલ લઈ ચોરને કેસમાંથી જતો કર્યો હતો. તેમણે કાર્યવાહી અંગે ચર્ચા કરી બાદમાં ગિરીશભાઈએ કહ્યું, સાહેબ ભલે તેણે મારા ઘરમાં ચોરી કરી, તે પહેલા આવો ન્હોતો, તેને પાછી એક નાની દીકરી પણ છે. ચોરીનો કેસ થશે અને જેલમાં જશે તો તેના પરિવાર માટે આ ખુબ કપરી સ્થિતિ બની જશે.
આ ઘટનામાં જે ગિરીશભાઈની વાત છે તે ગિરીશભાઈએ નવજીવન ન્યૂઝ સાથે વાત કરતાં કહ્યું કે, આખરે નક્કી કર્યું કે તેના પર હું કાર્યવાહી કરવા માગતો નથી, મને મારી વસ્તુઓ પાછી મળી ગઈ છે. કદાચ મારા કોઈ જન્મનું ઋણ હશે તેના કારણે આવું બન્યું પરંતુ આ હું આગળ વધારી તેને અને તેના પરિવારને સજા અપાવવા માગતો નથી, અને આગળ કાર્યવાહીની દોડધામ પણ વધારવા માગતો નથી. તેણે મારી માફી માગી છે અને હું તેને માફ કરવા માગું છું. જોકે આ સંજોગોમાં અન્ય એક વ્યક્તિના ત્યાં પણ ચોરી કરી હોવાને કારણે તે સામાન્ય ચોરીના ગુનામાં તો ચોરને કોર્ટમાં જે નિર્ણય થાય તેની રાહ જોવી પડશે પરંતુ આ એક મોટી ચોરીના ગુના વખતે આવી ઘટના બની તે અહીં આપ સમક્ષ રજુ કરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.