નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદમાં (Ahmedabad) એક કિસ્સો એવો આવ્યો છે, જેનાથી વાલીઓના હોશ ઊડી જશે. બાળકો ઘણીવાર એવી વસ્તુઓ ખાઈ લેતા હોય છે જેની જાણ તેમના વાલીઓને પણ નથી હોતી અને બાળક મુશ્કેલીમાં મુકાતું હોય છે. ગાંધીનગરની એક બાળકીને વાળ ખાવાની ટેવ હોવાના કારણે પેટમાં વાળના ગુચ્છ એ વિશાળ સ્વરૂપ ઘારણ કરી લેતા પરિવાર ચિંતામાં મુકાયો હતો. આખરે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં (Ahmedabad Civil Hospital)સારવાર કરવામાં આવતા બાળકીના પેટમાંથી ૧૫/૧૦ સેન્ટીમીટરની ગાંઠ (trichobezoar tumor Operation) કાઢવામાં આવી હતી.

પ્રાપ્ત વિગત અનુસાર, ગાંધીનગરના ભોયણ ગામના વતની અને અમદાવાદની અરવિંદ મીલમાં કામ કરતાં કમલેશસિંગ ચૌહાણની દીકરી ભૂમિ ચૌહાણને છેલ્લા કેટલાક સમયથી પેટમાં દુખાવાની તકલીફ રહેતી હતી. જેથી બાળકીને લઈને ગાંધીનગરની હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચ્યા હતા. જ્યા તબીબોને સમસ્યા વધુ ગંભીર દેખાતા બાળકીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવા જણાવ્યું હતું.
દીકરીને ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને પરિવારજનો વિના વિલંબે દિકરીને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઇને આવ્યા હતા. તબીબની ટીમે ભૂમિના સી. ટી. સ્કેન અને એક્સ-રે જેવા જરૂરી રીપોટ્સ કર્યા જેમાં બાળકીના પેટમાં ગાંઠ હોવાનું જાણવા મળ્યું હતું. સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના તબીબો દ્વારા સધન સર્જરી કરીને બાળકીને પીડામુક્ત કરવા અમદાવાદ સિવિલ મેડિસીટીની 1200 બેડ મહિલા અને બાળ રોગ હોસ્પિટલમાં ઓપરેશન માટે લઇ જવામાં આવી હતી.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના એસોસિએટ પ્રોફેસર ડૉ. જયશ્રી રામજી , એનેસ્થેસિયા વિભાગના ડૉ. સોનલ ભાલાવત અને તેમની ટીમ દ્વારા સર્જરી હાથ ધરવામાં હતી. સર્જરી દરમિયાન બાળકીના પેટમાં કાંપો મૂકી ખોલીને જોયું તબીબની ટીમ સ્તબ્ધ થઇ ગઇ. કારણ કે બાળકીના પેટમાં વાળના ગુચ્છ સ્વરૂપે ગાંઠ હતી. આ વાળના ગુચ્છાએ પેટમાં હોજરીનું સ્વરૂપ ઘારણ કર્યું હતું જે કારણોસર તે ગાંઠ બની ગઇ હતી. ૧૫/૧૦ સેન્ટીમીટરની પેટના આકારની આ ગાંઠ ભારે જહેમત બાદ સર્જરી દ્વારા સફળતાપૂર્વક દૂર કરી હતી.
ડૉ. જયશ્રી રામજી જણાવે છે કે, આ પ્રકારની ગાંઠને ટ્રાયકોબેઝોર તરીકે ઓળખવામાં આવે છે .જે ખાસ કરીને દીકરીઓ અને કિશોરીઓમાં વધારે જોવા મળે છે. ઘણી છોકરીઓને પોતાના અથવા તો અન્યના વાળ ખાવાની ટેવ હોય છે અથવા તો ભૂલથી વાળ ગળી જવાના કારણે આ પ્રકારની સમસ્યામાંથી પસાર થવું પડતુ હોય છે. અમારી ટીમ દ્વારા જ્યારે પરિવારજનોને દિકરીની હિસ્ટ્રી પૂછવામાં આવી ત્યારે તેઓએ પણ જણાવ્યું કે, મારી દિકરી ૩ વર્ષની હતી તે ઉંમરથી તેણીને માથાના વાળ ખાવાની ટેવ પડી હતી. છેલ્લા ઘણાં વર્ષથી બાળકીના વાળ ઓછા થતા હોય તેવું જણાઇ રહ્યું હતુ. આ વાતની અમને જાણ થતા અમે દિકરીનું મનોવૈજ્ઞાનિક તબીબો પાસે કાઉન્સેલીંગ પણ કરાવ્યું છે.
સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ અને બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષી જણાવે છે કે, હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગ દ્વારા અગાઉ પણ ટ્રાઇકોબેઝોર સર્જરી કરવામાં આવી છે. યુવતીઓ, કિશોરીઓ કે જેમના વાળ ઓછા થતા હોય જેમને વાળ ખાવાની ટેવ હોય તેમને કાઉન્સેલીંગ કરાવવું પણ જરૂરી છે જેના થકી આ પ્રકારની મોટી સમસ્યામાંથી બચી શકાય.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








