Thursday, September 10, 2026
HomeGujaratAhmedabadગુજરાતમાં 5 વર્ષમાં POCSO કેસોમાં 1785 ચુકાદા, 16 આરોપીને ફાંસી અને 908ને...

ગુજરાતમાં 5 વર્ષમાં POCSO કેસોમાં 1785 ચુકાદા, 16 આરોપીને ફાંસી અને 908ને આજીવન કેદની સજા

- Advertisement -

Fast-track justice process underway in POCSO cases in Gujarat : ગુજરાતમાં દીકરીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને જાતીય ગુનાઓ સામે કડક-ઝડપી ન્યાયિક કાર્યવાહી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અમલમાં છે. આ નીતિના પરિણામે રાજ્યમાં POCSO (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સિસ) હેઠળના કેસોમાં ન્યાય પ્રક્રિયા અભૂતપૂર્વ ઝડપે આગળ વધી રહી છે. આ પ્રકારના કેસોમાં સાયન્ટિફિક એવિડન્સ કલેક્શન સહિત ગુનાની ટોપ ટુ બોટમ લેવલે સંવેદનાપૂર્વક ઇન્વેસ્ટિગેશનની પોલીસની પધ્ધતિ ગુનેગારોને મજબૂત સજા અપાવવા મહત્વપૂર્ણ સાબિત થઈ છે. તાજેતરમાં ગાંધીનગરના કલોલ ખાતે પોક્સો કોર્ટે (POCSO Court Kalol Gandhingar) 15 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીને પોલીસે ચાર્જશીટ રજૂ કર્યાના માત્ર 72 કલાકમાં કુદરતી આયુષ્યના અંત સુધીની આજીવન કેદ ફટકારીને એક દાખલારૂપ ચુકાદો આપ્યો છે. રાજ્યમાં વર્ષ 2022થી ઓગસ્ટ 2026 દરમિયાન પોક્સો અદાલતો દ્વારા કુલ 1785 ચુકાદા આપવામાં આવ્યા છે. જેમાં 908 ગુનેગારોને આજીવન કેદ અને 16 નરાધમોને ફાંસીની સજા ફટકારવામાં આવી છે.

અદાલતી ચુકાદાઓની સંખ્યામાં દર વર્ષે નોંધપાત્ર વધારો થયો છે. જેમાં વર્ષ 2022માં 194 ચુકાદામાં 107 આરોપીઓને આજીવન કેદ, વર્ષ 2025માં 499 ચુકાદામાં 340 આરોપીઓને આજીવન કેદ, વર્ષ 2026 ઓગસ્ટ સુધીમાં એટલે કે ચાલુ વર્ષે આઠ મહિનામાં 346 ચુકાદામાં 241 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. નોંધનીય છે કે, માત્ર ઓગસ્ટ મહિનાના એક જ મહિનામાં 48 પોક્સો કેસમાં સજાના ચુકાદા આવ્યા છે તે પૈકી 35ને આજીવન કેદની સજા ફટકારાઈ છે.

- Advertisement -

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) એ જણાવ્યું છે કે, “ગુજરાતમાં દીકરીઓ તરફ કુદ્રષ્ટિ કરનારા કોઈપણ નરાધમ માટે કોઈ દયા કે છૂટછાટ હોઈ જ ન શકે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (Bhupendra Patel) ના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે POCSO કેસો માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ્સ અને સુદ્રઢ કાયદાકીય માળખું ઊભું કર્યું છે. જેના પરિણામે આજે પીડિતા અને તેના પરિવારને મહિનાઓ કે વર્ષો નહીં, પરંતુ ગણતરીના દિવસોમાં ઝડપી ન્યાય મળી રહ્યો છે.

રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે (G S Malik) જણાવ્યું છે કે, આ પ્રકારના કેસોમાં અત્યંત સંવેદનશીલતાની સાથે સાથે જરૂરી ઝડપ અને કડકાઈ દાખવીને પોલીસ દ્વારા ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે છે. પીડિતા કે પીડિતાના પરિવારને ઝડપી ન્યાય મળે તે માટે પોલીસ દ્વારા ખાસ કરીને ઇન્વેસ્ટિગેશન દરમિયાન ‘સઘન તપાસ, કડક કાર્યવાહી અને ઝડપી ન્યાય’ના ત્રિ-સૂત્ર પર ફોકસ કરવામાં આવે છે. પોક્સો કેસોમાં ત્વરિત ચાર્જશીટ સાથે પ્રત્યેક કેસ ઝડપી અદાલત સુધી પહોંચે તેનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

છેલ્લા પાંચ વર્ષમાં 140 પોક્સો ગુનામાં પોલીસે એક દિવસથી લઈને 15 દિવસમાં ચાર્જશીટ કરી છે. 16 થી 30 દિવસમાં તપાસ પૂર્ણ કરીને 1339 ગુનાઓમાં ચાર્જશીટ કરી દેવાઈ છે. તેવી જ રીતે 31 થી 45 દિવસની ચાર્જશીટ કરી હોય તેવા 5463 ગુનાઓ છે. જે પોલીસ દ્વારા આ પ્રકારના કેસોમાં દાખવવામાં આવતી ગંભીરતા અને તેમાં તપાસની ઝડપ દર્શાવે છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular