FIR registered in Meraman Parmar suicide case : મૂળ જામનગરના બિલ્ડર મેરામણ પરમારે વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો ખુલાસો થયો છે. મૃત્યુના મૃત્યુના સાડા સાત મહિના બાદ ગાંધીનગર જિલ્લાના અડાલજ પોલીસ સ્ટેશન (Adalaj Police Station) ખાતે નોંધાયેલી ફરિયાદમાં બે પરિવારને આરોપી દર્શાવાયા છે. જામનગરના જાણીતા વાઢેર પરિવાર (Wadher family) અને દોમડીયા પરિવારે (Domadiya family) વ્યાજપેટે મેરામણ પરમાર પાસેથી 153 કરોડથી વધુ કિંમતની 28 મિલકતો પચાવી પાડી છે. મૃતક મેરામણ પરમારના પુત્ર દેવ પરમારે આ મામલે 11 શખસો સામે ફરિયાદ આપી છે. અત્રે નોંધનીય છે કે, મેરામણ પરમારે વર્ષ 2016માં 6.5 કરોડની રોલ્સ રોયસ કાર ખરીદી હતી. અગાઉ વર્ષ 2020માં પણ મેરામણ પરમારે માંકડ મારવાની ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
વર્ષ 2025ની 10 જાન્યુઆરીની રાતે અડાલજ ગામની સીમમાં પાન ખાવાના બહાને પોતાની કાર ઉભી રખાવી ડ્રાઈવરને ગલ્લે મોકલ્યો હતો. દરમિયાનમાં મેરામણ પરમારે ઝેરી દવા ગટગટાવી લેતા તેમની તબિયત લથડી હતી અને તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પરિવારજનોએ પોસ્ટમોર્ટમ કરાવ્યા વિના અંતિમવિધિ કરી દીધી હતી. મેરામણ પરમારના અવસાનના દસેક દિવસ બાદ તેમના પત્ની કિર્તીબહેનને ઘરમાંથી એક બંધ કવર મળી આવ્યું હતું, જેના પર મૃતકના હસ્તાક્ષરમાં આ કવર મારા પરિવારના રૂબરૂમાં ખોલશો તેમ લખી 7 જાન્યુઆરી 2025ની તારીખ અને સહી કરી હતી. પરિવારે આ કવર ખોલતા તેમાંથી મેરામણ પરમારના હસ્તાક્ષરમાં લખાયેલી બે અલગ-અલગ સ્યૂસાઈડ નોટ મળી હતી.
અડાલજ પોલીસના ચોપડે 11 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં મુખ્ય આરોપી તરીકે ભીખુભા હરીસિંહ વાઢેર, ધવલસિંહ ભીખુભા વાઢેર, વિરેન્દ્રસિંહ ભીખુભા વાઢેર, શૈલેન્દ્રસિંહ ભીખુભા વાઢેર, ગજરાબા ભીખુભા વાઢેર, અનિતાબા વિરેન્દ્રસિંહ વાઢેર, કશ્મીરાબા ધવલસિંહ વાઢેર અને પ્રવિણાબા શૈલેન્દ્રસિંહ વાઢેર (તમામ રહે. શ્રીહરી નિવાસ, એરોડ્રામા રોડ, જામનગર)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત દોમડીયા પરિવારના પ્રવિણભાઇ લક્ષ્મણભાઇ દોમડીયા, કાંતાબેન પ્રવિણભાઇ દોમડીયા અને વિશાલ પ્રવિણભાઇ દોમડીયા (તમામ રહે. બ્લોક નં. 69, વિશાલ જનતા સોસાયટી, જામનગર)ને પણ આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે.








