Ahmedabad Chandrabhaga bridge accident: અમદાવાદ શહેરમાં વધુ અકસ્માતની ઘટના સામે આવી છે. ચંદ્રભાગા બ્રિજ નજીક મોડી રાત્રે દોડી રહેલી એક કાર બેકાબૂ બની સીધી કેનાલમાં ખાબકી ગઈ હતી. અકસ્માત બાદ વિસ્તારમાં અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો અને ધડાકાભેર અવાજ સાંભળીને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અકસ્માતમાં કારચાલક અને તેનો મિત્ર ઇજાગ્રસ્ત થયા હતા, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, નવરંગપુરા વિસ્તારમાં રહેતા વિશાલ શાહ પોતાની GJ-18-EE-9000 નંબરની કાર લઈને મિત્ર મુકુન્દ પ્રણવકુમાર પટેલ સાથે રાણીપ ડી-માર્ટથી નવી બનતી કેનાલ રોડ તરફ જઈ રહ્યા હતા. 5 જૂનની વહેલી સવારે અંદાજે 2:30 વાગ્યે તેઓ ચંદ્રભાગા બ્રિજ નજીક પહોંચ્યા ત્યારે વિશાલે કાર હંકારી હતી. ઝડપ વધુ હોવાનું કહેવાય છે જેને કારણે આગળ રસ્તાનું કામ ચાલુ હોવાની જાણ થઈ નહોતી અને બ્રિજ પરનો રસ્તો પૂરો થતાં કાર સીધી નીચે આવેલી કેનાલમાં ખાબકી ગઈ હતી. જોકે અહીં તંત્રની પણ બેદરકારી જોવા મળી હતી. કારણ કે કોઈપણ પ્રકારના સાઈન બોર્ડ કે ચેતવણી લગાવવામાં આવી નહોતી.
અકસ્માત બાદ કાર કેનાલમાં પડતા જોરદાર અવાજ થયો હતો, જેના કારણે આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા. ઘટનાની જાણ પોલીસ કંટ્રોલ રૂમને સવારે આશરે 4 વાગ્યે કરવામાં આવી હતી. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે અકસ્માતનું મુખ્ય કારણ વધુ ઝડપ અને સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવવો હોઈ શકે છે. અકસ્માતમાં વિશાલ શાહ અને તેના મિત્ર મુકુન્દ પ્રણવકુમાર પટેલને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે વિશાલ શાહ નવરંગપુરાની એવન કેલાશ સોસાયટીમાં રહે છે, જ્યારે મુકુન્દ પ્રણવકુમાર પટેલ મીરા પાર્ક સોસાયટીના રહેવાસી છે. ઘટનાની જાણ થતાં ટ્રાફિક પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત કારને કેનાલમાંથી બહાર કાઢવામાં આવી હતી.
આ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને બી ડિવિઝન ટ્રાફિક પોલીસે ફરિયાદ નોંધી છે. પોલીસે પોતાનું અને અન્ય લોકોનું જીવન જોખમાય તે રીતે વાહન ચલાવવા બદલ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. અકસ્માત સમયે બંને યુવકો ક્યાંથી આવી રહ્યા હતા અને અકસ્માતની ચોક્કસ પરિસ્થિતિ શું હતી તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જોકે બીજો ગણગણાટ એ પણ ઉઠી રહ્યો છે કે, આ સાથે સાથે તંત્રના અધિકારીઓની પણ બેદરકારી હોઈ તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવે.








