Amit Khunt case Pooja Rajgor accident: ગોંડલ તાલુકાના શ્રીનાથગઢ અને મોવિયા ગામ વચ્ચે સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં પૂજા રાજગોર નામની યુવતીનું કરુણ મોત નીપજ્યું છે. સાસણથી પરત ફરી રહેલા મિત્રોની કાળા રંગની સ્કોડા કાર ‘દાવત બેવરેજીસ’ નજીક એક વૃક્ષ સાથે ધડાકાભેર અથડાતા આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 25 વર્ષીય પૂજા રાજગોરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે 5 વર્ષની બાળકી સહિત અન્ય ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થતાં તેમને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવ્યા છે.
અકસ્માતમાં મોતને ભેટેલી પૂજા રાજગોરનું નામ રીબડાના બહુચર્ચિત અમિત ખૂંટ આપઘાત કેસ સાથે જોડાયેલું હતું. અમિત ખૂંટે આપઘાત કરતા પહેલાં પૂજા રાજગોર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. બાદમાં તપાસ દરમિયાન અમિત ખૂંટ હનીટ્રેપનો ભોગ બન્યો હોવાની બાબતો સામે આવી હતી, જેના આધારે પૂજા રાજગોર સહિતના આરોપીઓ સામે પોલીસ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
પૂજા રાજગોરે અગાઉ ડીસીપી જગદીશ બાંગરવા, એ ડિવિઝનના પીઆઈ, એલસીબીના 15 કર્મચારીઓ અને બે મહિલા PSI સામે કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. તેણે આ સમગ્ર મામલાની તપાસ SMCને સોંપવાની માંગ પણ કરી હતી. કોર્ટમાં કરેલી ફરિયાદમાં પૂજાએ આક્ષેપ કર્યો હતો કે તેમના પર પોલીસ દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું.
ચોંકાવનારી બાબત એ છે કે અકસ્માતના માત્ર 21 કલાક પહેલાં જ પૂજા રાજગોરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક કપલ ફોટો સ્ટોરીમાં શેર કર્યો હતો. સ્ટોરીમાં તેણે ‘તુજે પ્યાર કરતે કરતે મેરી ઉમ્ર ગુઝર જાએ’ લખાણ પણ મૂક્યું હતું.
અકસ્માતની જાણ થતાં જ ગોંડલ તાલુકા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. મૃતદેહને શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ મારફતે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.
આ અકસ્માત અને તેમાં મૃત્યુ પામનાર યુવતીની ઓળખ સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે અકસ્માતના કારણો અંગે વધુ તપાસ શરૂ કરી છે.








