Thursday, June 4, 2026
HomeGeneralઆગની દુર્ઘટનાઓમાં એક જ પેટર્ન, લોકોના મોત, ધરપકડ અને પછી જામીન: વર્ષો...

આગની દુર્ઘટનાઓમાં એક જ પેટર્ન, લોકોના મોત, ધરપકડ અને પછી જામીન: વર્ષો બાદ પણ ટ્રાયલ શરૂ નહીં

- Advertisement -

Same script in fire incidents: નવી દિલ્હીના માલવિયા નગર સ્થિત ફ્લોરિશ સ્ટેઝ B&Bમાં લાગેલી ભીષણ આગમાં 21 લોકોના મોત બાદ ફરી એકવાર રાજધાનીમાં ફાયર સેફ્ટીના ગંભીર પ્રશ્નો ચર્ચામાં આવ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં દિલ્હીમાં બનેલી મોટી આગની દુર્ઘટનાઓ પર નજર કરીએ તો એક ચિંતાજનક પેટર્ન સામે આવે છે. આગ બાદ પોલીસ કાર્યવાહી, ધરપકડ અને ગંભીર ગુનાઓ હેઠળ કેસ નોંધાય છે, પરંતુ થોડા સમયમાં આરોપીઓને જામીન મળી જાય છે અને વર્ષો સુધી કેસ ટ્રાયલના તબક્કે પણ પહોંચી શકતા નથી.

2019માં કરોલ બાગની હોટલ આગની ઘટના, 2022ની મુંડકા બિલ્ડિંગ આગ અને 2024ની વિવેક વિહાર નવજાત હોસ્પિટલ દુર્ઘટના જેવા કેસોમાં માલિકો અને બેદરકારીના આરોપીઓ સામે કાર્યવાહી થઈ હતી, પરંતુ તમામ આરોપીઓ ટ્રાયલ શરૂ થાય તે પહેલાં જ જામીન પર છૂટી ગયા હતા. અનેક કેસોમાં તો હજુ સુધી આરોપ નક્કી કરવાની કાર્યવાહી પણ પૂર્ણ થઈ નથી.

- Advertisement -

તાજેતરમાં માલવિયા નગર સ્થિત ફ્લોરિશ સ્ટેઝ B&Bમાં લાગેલી આગમાં 21 લોકોના મોત થયા હતા, જેમાં 12 વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય છે. આ ઘટનામાં 37 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તપાસમાં સામે આવ્યું હતું કે બિલ્ડિંગમાં માત્ર એક જ પ્રવેશ અને બહાર નીકળવાનો માર્ગ હતો, ફાયર સેફ્ટીના સાધનો નહોતા, મંજૂરી મળેલી છ રૂમની જગ્યાએ 24 રૂમ બનાવવામાં આવ્યા હતા અને ફાયર સેફ્ટી ક્લિયરન્સ માટે અરજી પણ કરવામાં આવી નહોતી.

આ ઘટનામાં દિલ્હી પોલીસે બિલ્ડિંગના માલિક લવકેશ બજાજની ધરપકડ કરી છે અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, જેમાં હત્યા સમાન બેદરકારી અને આગ દ્વારા નુકસાન પહોંચાડવાના ગુનાઓનો સમાવેશ થાય છે.

2019માં કરોલ બાગ સ્થિત હોટલ અર્પિત પેલેસમાં લાગેલી આગમાં 17 લોકોના મોત થયા હતા. મોટાભાગના લોકો ઊંઘ દરમિયાન ધુમાડાના કારણે જીવ ગુમાવ્યા હતા. પોલીસ તપાસમાં ગંભીર ખામીઓ સામે આવી હતી અને હોટલ મેનેજર સહિત માલિકોની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં છેતરપિંડી અને ખોટા દસ્તાવેજોના આરોપો પણ ઉમેરવામાં આવ્યા હતા. જોકે, અદાલતે પોલીસ દ્વારા આગના કારણ સાથે સીધો સંબંધ સ્થાપિત કરવામાં નિષ્ફળતા દર્શાવી આરોપીઓને જામીન આપ્યા હતા. આજે છ વર્ષ બાદ પણ આ કેસમાં ટ્રાયલ શરૂ થયો નથી.

- Advertisement -

2022માં મુંડકા વિસ્તારમાં ચાર માળની ઇમારતમાં લાગેલી આગમાં 27 લોકોના મોત થયા હતા. CCTV કેમેરા અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો બનાવતી ફેક્ટરીમાં લાગેલી આગે સમગ્ર બિલ્ડિંગને લપેટમાં લીધી હતી. તપાસમાં ફાયર NOC, મ્યુનિસિપલ મંજૂરી, પૂરતી હવા વ્યવસ્થા અને સુરક્ષા સુવિધાઓના અભાવનો ખુલાસો થયો હતો. બિલ્ડિંગ અને ફેક્ટરી સાથે સંકળાયેલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ સમયસર ચાર્જશીટ દાખલ ન થતાં તેમને ડિફોલ્ટ જામીન મળી ગયા હતા. ચાર વર્ષ બાદ પણ કેસ ટ્રાયલ પૂર્વ તબક્કામાં જ છે.

2024માં વિવેક વિહાર સ્થિત બેબી કેર ન્યૂ બોર્ન હોસ્પિટલમાં લાગેલી આગમાં આઠ નવજાત શિશુઓના મોત થયા હતા. ઘટનાના સમયે હોસ્પિટલમાં 12 નવજાત બાળકો દાખલ હતા. તપાસમાં ફાયર સેફ્ટી સાધનોનો અભાવ, મંજૂરી વિના વધારાના બેડ, લાયકાત વિનાના ડોક્ટરો અને ઓક્સિજન સિલિન્ડરના જોખમી સંગ્રહ જેવી ગંભીર બેદરકારીઓ સામે આવી હતી.

હોસ્પિટલના માલિક ડૉ. નવીન ખીચી અને તેમના સહયોગીની ધરપકડ કરવામાં આવી હતી. જોકે બાદમાં દિલ્હી હાઈકોર્ટે માલિકને જામીન આપતા નોંધ્યું હતું કે ઘટનાના સમયે તેઓ હોસ્પિટલમાં હાજર નહોતા અને દુર્ઘટના અંગે તેમને પૂર્વ જાણકારી હોવાનો પુરાવો નથી. આ કેસમાં પણ હજુ સુધી આરોપ નક્કી કરવાની કાર્યવાહી પૂર્ણ થઈ નથી.

- Advertisement -

આ તમામ કેસો દર્શાવે છે કે દિલ્હીમાં મોટી આગની દુર્ઘટનાઓ બાદ પ્રાથમિક તબક્કે કડક કાર્યવાહી જોવા મળે છે, પરંતુ ત્યારબાદ કાયદાકીય પ્રક્રિયા ધીમી પડી જાય છે. પરિણામે વર્ષો વીતી જાય છે છતાં પીડિત પરિવારોને ન્યાય મળવાની રાહ જોવી પડે છે. (અહેવાલ- ધ પ્રિન્ટ)

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular