Ahmedabad Murder Case Solved : અમદાવાદ શહેરના છેવાડે ન્યૂ વટવા વિસ્તાર (New Vatva Ahmedabad) માં આવેલા એક બંધ ફલેટમાં કરાયેલી યુવકની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાંખ્યો (Ahmedabad Murder Case Solved) છે. યુવકના હાથ-પગ તેમજ મોંઢે ડૂચો મારેલો મૃતદેહ વટવા પોલીસને મળતા ફલેટમાં ભાડે રહેતા શખસોની પોલીસે શોધખોળ આરંભી હતી. વટવા પોલીસ (Vatva Police) અને ઝોન-8 LCB એ સંયુક્ત ઑપરેશન હાથ ધરી એક સગીર સહિત 4 આરોપીઓની ધરપકડ કરી છે. ઈમરાન શબ્બીરભાઈ સિંધાની હત્યા કર્યા બાદ આરોપીઓ ફલેટને તાળું મારી રાજ્ય છોડી નાસી ગયા હતા. પોલીસે આરોપીઓને હરિયાણા ખાતેથી ઝડપી પાડ્યા છે.
મહેમદાવાદ રોડ પર પુષ્પક સિટી ખાતે રહેતા રિષભ રમેશચંદ્ર શર્માએ વટવા પોલીસને હત્યા મામલે ફરિયાદ આપી હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે, પિતા રમેશચંદ્ર શર્માની માલિકીનો ન્યૂ વટવા સતેજ હોમ્સમાં આવેલો ફલેટ નં. 13 ગત માર્ચ મહિનામાં રાજુ પરમાર, સુરજ સહાની, રવિ કુમાર અને એક સગીરને કરાર કરી ભાડે આપ્યો હતો. ગત મંગળવારે સોસાયટીના ચેરમેને બંધ મકાનમાંથી વાસ આવતી હોવાની જાણ રમેશચંદ્રને કરતા તેઓ બીજા દિવસે ગુરૂવારે સવારે બ્રોકર સાહીલ સોલંકી સાથે ફલેટ પર પહોંચ્યા હતા. બંધ ફલેટનું તાળું તોડી અંદર પ્રવેશતા માસ્ટર બેડરૂમમાં ગાદલા ઉપર ઉંધી હાલતમાં પડેલી એક લાશ નજરે પડી હતી. મૃતકના બંને હાથ પાછળની બાજુ અને જમણો પગ બાંધી દેવાયો હતો. આ ઉપરાંત તેના મોંઢાના ભાગે કપડું બાંધી દેવાયું હતું. આ ઘટનાની જાણ થતાં વટવા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી.
તપાસમાં મૃતક ભરૂચના હાંસોટ પંથકનો ઈમરાન શબ્બીરભાઈ સિંધા હોવાની ઓળખ થઈ હતી. આ કેસમાં ફરાર થઈ ગયેલા શકમંદ શખસોને ટેક્નિકલ સર્વેલન્સથી પોલીસે હરિયાણાના પલવેલ ખાતેથી ઝડપી લીધા હતા. હત્યા કેસમાં સંડોવાયેલા ચારેય આરોપીઓની ધરપકડ કરી વટવા પોલીસે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.








