નવજીવન ન્યૂઝ, ગાંધીનગર : ગાંધીનગર જિલ્લાના શેરથા ગામે એક બંધ મકાનમાં ભારે તોડફોડ અને ચોરીનો બનાવ (Theft in a closed house in Shertha Gandhinagar) બન્યો છે. બેંક હરાજીમાં વેચાયેલા મકાનમાં રહેલું ફર્નિચર લઈ જવાના મુદ્દે નવા માલિકે ના પાડતા જુના મકાન માલિકે તોડફોડ કરી બંધ ઘરમાંથી ચોરી (Old owner vandalized and stole from a closed house) કરી છે. અડાલજ પોલીસે આ મામલે ભરત સુથાર સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.
ગાંધીનગર સેક્ટર 12માં રહેતા પ્રોપર્ટી બ્રોકર કૃણાલ કૃષ્ણકાંત ઠાકરે અડાલજ પોલીસ (Adalaj Police) ને ફરિયાદ આપી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, માર્ચ-2026માં શેરથા ગ્રામ પંચાયતમાં આવેલું 785 નંબરનું મકાન બેંક હરાજીમાં ખરીદ્યું હતું. આ મકાનના જુના માલિક ભરત ભીખાભાઈ સુથારે બેંકના હપ્તા નહીં ભરતા મકાન સીઝ કરાયું હતું. ગઈકાલે શુક્રવાર સાંજે જ્યારે કૃણાલ કૃષ્ણકાંત ઠાકર મકાન પર ગયા ત્યારે તેમના ઘરનો સામાન વેરવિખેર તેમજ તૂટેલી હાલતમાં જોયો હતો. ઘરમાં રહેલું તમામ ફર્નિચર, રસોડાનું પ્લેટફોર્મ અને સીડીના ભાગોને તોડી પાડી મંદિરમાં પૂજા વિધિ માટે મુકવામાં આવેલા 5100 રૂપિયાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. આ અંગે પડોશીઓએ તેમને જણાવ્યું હતું કે, બે સપ્તાહ અગાઉ ભરત સુથાર ત્યાં આવ્યો હતો અને તોડફોડ કરી હતી.








