Tuesday, May 19, 2026
HomeGujaratગુંડાઓના કોલર વ્હાઈટ થઈ ગયા? જમીન ખેડૂતની, પુછ્યા વગર વીજ લાઈન ખેંચવાનીઃ...

ગુંડાઓના કોલર વ્હાઈટ થઈ ગયા? જમીન ખેડૂતની, પુછ્યા વગર વીજ લાઈન ખેંચવાનીઃ કલેક્ટરની સામે ખેડૂતે પોક મુકી, દ્રશ્ય કંપારી છોડાવનારું

- Advertisement -

નવજીવન ન્યૂઝ નેટવર્ક.સુરેન્દ્રનગર/હરદાઃ મધ્ય પ્રદેશના હરદા જિલ્લામાં જનસુનાવણી દરમિયાન એક અત્યંત ભાવુક દૃશ્ય સામે આવ્યું છે. પોતાની ફરિયાદ લઈને કલેક્ટર કચેરીએ પહોંચેલા ખેડૂતનું ધીરજ તૂટી જતાં તે કલેક્ટર સમક્ષ જ જમીન પર ઢળી પડ્યો હતો અને ફૂટફૂટીને રડવા લાગ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જોકે આ વીડિયોમાં રહેલી વ્યથા લગભગ લગભગ મોટા ભાગનો ખેડૂત વર્ગ જાણે છે. યા તો પોતે કે પછી પોતાના કોઈના કોઈ પરિચિત આવી જ કોઈ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે અથવા થઈ ચુક્યા છે. ગુજરાતમાંથી પણ આવી ઘટનાઓએ અવાજ ઊંચો કર્યો હતો પરંતુ ‘ખેડૂતોનો અવાજ છું’ કહેનારા કોઈ નેતા તેમને આમાં ન્યાય અપાવી શક્યા નથી. પણ અહીં સૌથી મોટો સવાલ એ પણ ઊભો થાય છે કે જમીનની માલિકી હોવા છતા પોલીસનો ટેકો ખેડૂતની તરફે નહીં પણ જમીનની માલિકી જેની પાસે નથી તે વ્હાઈટ કોલર ગુંડાઈ બાજુમાં કેમ જોવા મળે છે?

મળતી માહિતી અનુસાર, હરદા જિલ્લા મુખ્યાલય ખાતે યોજાયેલી જનસુનાવણીમાં ખેડી મહમૂદાબાદ ગામના ખેડૂત મખનલાલ શર્મા અને શંભુદયાલ શર્મા પોતાની ફરિયાદ લઈને પહોંચ્યા હતા. ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે વીજ વિભાગ તેમની જમીન પર તેમની મંજૂરી વિના નવી 33 કે.વી. વીજ લાઈન નાખી રહ્યો છે, જ્યારે ત્યાં પહેલેથી જ વીજના થાંભલા અને લાઈન હાજર છે.

- Advertisement -

ખેડૂતના જણાવ્યા અનુસાર, તેમની સંમતિ વિના અને કોઈપણ પ્રકારના વળતર વિના કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ દ્વારા ખેતરમાં કામ શરૂ કરાવવામાં આવી રહ્યું છે. પોતાની વ્યથા રજૂ કરતી વખતે મખનલાલ શર્મા ભાવુક થઈ ગયા હતા અને માનસિક તણાવના કારણે ત્યાં જ રડી પડ્યા હતા. આ દૃશ્ય જોઈને હાજર લોકો પણ ભાવુક થઈ ગયા હતા.

ખેડૂતે જણાવ્યું હતું કે આ મામલો પહેલેથી જ કોર્ટમાં ચાલી રહ્યો છે અને ટૂંક સમયમાં તેની સુનાવણી થવાની છે. તેમ છતાં વિભાગ દ્વારા કામ અટકાવવામાં આવ્યું નથી. ખેડૂતના મતે આ નિયમોની સ્પષ્ટ અવગણના છે.

મખનલાલ શર્માએ વધુમાં જણાવ્યું કે તેમનો પરિવાર પહેલેથી જ ગંભીર સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. પરિવારનો એક સભ્ય કેન્સર જેવી ગંભીર બીમારી સામે લડી રહ્યો છે. આવી સ્થિતિમાં વિભાગ તરફથી થતું દબાણ અને માનસિક ત્રાસ તેમની મુશ્કેલીઓમાં વધુ વધારો કરી રહ્યા છે.

- Advertisement -

ખેડૂતે જિલ્લા તંત્ર સમક્ષ અપીલ કરી છે કે કોર્ટમાં સુનાવણી પૂર્ણ ન થાય ત્યાં સુધી વીજ લાઈનનું કામ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે. તેમણે આક્ષેપ કર્યો કે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ દબાણની નીતિ અપનાવી રહ્યા છે.

આ મામલે જિલ્લા પંચાયતના CEO અંજલી જોસેફે જણાવ્યું છે કે ખેડૂતની ફરિયાદ મળી ગઈ છે અને વીજ વિભાગના સંબંધિત અધિકારીઓને તપાસ તથા જરૂરી કાર્યવાહી માટે પત્ર મોકલી આપવામાં આવ્યો છે. આવી જ કાંઈક હાલત ગુજરાતમાં પણ છેલ્લા કેટલાક સમયથી જોવા મળી રહી છે.

ગુજરાતના પણ ઘણા વિસ્તારોમાં ખેડૂતો અને જમીન માલીકો દ્વારા કોઈ પણ પ્રકારની પૂર્વ મંજુરી વગર વીજ વિભાગ જમીનોમાં વીજળીને લગતી કામગીરીઓ કરી રહ્યું હોવાના આરોપ લાગી રહ્યા છે. આવી જ એક બાબત પર પત્રકાર દિલીપ પટેલ દ્વારા પણ હાલમાં એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં તેમણે આ બાબતનો ઉલ્લેખ કર્યો છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular