નવજીવન ન્યૂઝ, અમદાવાદ : અમદાવાદમાં આવેલી એક સ્પોર્ટ્સ એકેડમીમાં આજે ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકર મુલાકાત (Sachin Tendulkar in Ahmedabad) લઈ તાલીમ લઈ રહેલા યુવા ખેલાડીઓ સાથે સમય વિતાવ્યો હતો. સચિન તેંડુલકરે વિશેષ કાર્યક્રમ દરમિયાન બાળકો, માતા-પિતા અને ઉભરતા ક્રિકેટરો સાથે સંવાદ સાધ્યો હતો. તેમના આ સંવાદે એકેડમીમાં ઉપસ્થિત તાલીમાર્થીઓ અને તેમના પરિવારજનો માટે યાદગાર ક્ષણો સર્જી હતી.
કાર્યક્રમ બાદ સચિન તેંડુલકરે જણાવ્યું હતું કે, ‘કોઈપણ નાના બાળક માટે સૌથી મહત્ત્વની બાબત એ નથી કે તે ક્યાંથી શરૂઆત કરે છે, પરંતુ તેને વિકાસ કરવાની તક મળે છે કે નહીં. ટેલેન્ટ ભગવાન આપે છે, પણ એ ટેલેન્ટનું તમે શું કરો છો એ તમારા હાથમાં છે ! જ્યારે પણ તમે મેદાન પર રમવા જાઓ, ત્યારે દર વખતે જીત કે સફળતા મળશે તેની કોઈ ગેરંટી નથી હોતી, પણ પૂરી તૈયારી સાથે મેદાનમાં ઉતરવું, શિસ્ત જાળવવી અને પૂરેપૂરું ફોકસ રાખવું. એ માત્ર ને માત્ર તમારા હાથમાં છે. મેં એવા ઘણા સુપર ટેલેન્ટેડ ક્રિકેટરો જોયા છે જેઓ ક્યારેય સફળ ના થઈ શક્યા, કારણ કે તેમણે પોતાની ટેલેન્ટની કદર ના કરી. જો ભારતીય ટીમમાં સ્થાન મેળવવું હોય તો કોઈ જ શોર્ટકટ નથી, અહીં ઘણા બલિદાન આપવા પડે છે. જો તમે શોર્ટકટ લેશો, તો આખી દુનિયા સામે ખુલ્લા પડી જશો!’








